- સુરેન્દ્ર શાહ
શ્રીરામ શબરીની ઝૂંપડીએ પધાર્યા. શબરી ધન્ય થઈ ગઈ. તેની વર્ષોની તપસ્યા પૂર્ણ થઈ. શ્રીરામે તેને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. જ્યારે રામ વિદાય થતા હતા ત્યારે શબરીએ કહ્યું "હે પ્રભુ, અહીંથી થોડે દૂર પમ્પા સરોવર પાસે ઋષ્પમૂક પર્વત છે એ પર્વત પર પરાક્રમી વાનરરાજ સુગ્રીવ તેના ભાઈ વાલીથી ભયભીત થઈ પોતાના મંત્રીઓ સાથે રહે છે. તમે ત્યાં જાવ. તેને મળો. (ત્વં તેન સખ્યં કુરૂ પ્રભો) પ્રભુ, તમે તેની મિત્રતા કરો. સુગ્રીવ સીતારામની શોધનું કાર્ય સિદ્ધ કરી આપશે...'' શ્રીરામ-લક્ષ્મણ ત્યાં ગયા. શ્રી હનુમાનજીએ શ્રીરામને પંપા સરોવર પાસે સુગ્રીવનો પ્રથમ પરિચય કરાવ્યો. શબરી અને હનુમાનજીના કથન પર વિશ્વાસ કરી શ્રીરામે સુગ્રીવને પોતાનો મિત્ર બનાવ્યો. સુગ્રીવને વાલીનો ભય હતો. શ્રીરામે ભય દૂર કર્યો. વાલીનો વધ કરી કિષ્કિંધાનું રાજ્યપદ અપાવ્યું. શ્રીરામે સુગ્રીવને રાજ્ય વ્યવસ્થા કરવાનો સમય આપ્યો. પછી સીતાની ભાળ મેળવવા વિનંતી કરી. પણ સુગ્રીવ સ્વભાવે વાનર હતો. રાજ્ય મળતાં જ 'રામ-કાજ' ભૂલી ગયો. શ્રીરામે હનુમાનજીને મોકલ્યા. હનુમાનજીએ સુગ્રીવને આળસમાંથી જગાડયો. (ત્વં તુ વાનર ભાવેન સ્ત્રીસક્તો નાવબુદ્ધય સે) હે સુગ્રીવ જાગ. તું વાનર સ્વભાવવાળો સ્ત્રીસંગી કામીજ રહ્યો ! તારૃં કામ શ્રીરામે તરત કરી આપ્યું અને તેમનું કામ ભૂલી ગયો ? તને યાદ છે કે નહિ શ્રી સીતારામની શોધ કરવાનું 'રામ-કાજ' તારે કરવાનું છે ?!! વાનર સ્વભાવી હતો. છતાં શ્રીરામે રામે તેની મિત્રતા છોડી નથી. તે મદ્યપાની હતો. સ્ત્રીસંગી હતો. કૃતઘ્ની હતો. નિર્દયી હતો, છતાં મિત્ર હતો, તે અપૂર્ણ હતો, સ્વભાવે અધૂરો હતો, એદી હતો, તેનામાં અધૂરપ હતી. છતાં શ્રીરામે તેને મિત્ર બનાવ્યો હતો. શ્રીરામે તેના ગુણો-અવગુણો સાથે તેને સ્વીકાર્યો હતો. જ્યારે લક્ષ્મણ ઉશ્કેરાઈને સુગ્રીવને મારવા ઊભો થયો ત્યારે શ્રીરામે તેને રોક્યો. "(ન હન્તવ્યસ્ત્વયા વત્સ સુગ્રીવો મે પ્રિય: સખા) હે વત્સ, સુગ્રીવ મારો પ્રિય મિત્ર છે. આપણાથી તેને મરાય નહિ."

