
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાંથી એક CRPF જવાનને પકડ્યો છે. તે પાકિસ્તાનને દેશ સાથે જોડાયેલી સંવેદનશીલ જાણકારી મોકલતો હતો. મળતી માહિતી અનુસાર જવાનને જાણકારી મોકલવાના પૈસા મળતા હતા. તે આ કામ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. Operation Sindoor બાદ દેશમાંથી કેટલાક જાસૂસ પકડાયા છે. તાજેતરમાં કચ્છમાંથી પણ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલવાના આરોપમાં હેલ્થ વર્કર તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1926932795873497361
NIAએ CRPF જવાનની પૂછપરછ શરૂ કરી
NIAએ CRPF જવાનની પૂછપરછ શરૂ કરી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર જવાને સોશિયલ મીડિયા દ્વારા દેશ સાથે જોડાયેલી ગુપ્ત જાણકારી મોકલવાની શરૂ કરી હતી અને તેના બદલે તેને પૈસા પણ મળતા હતા.
2023થી કરતો હતો જાસૂસી
આરોપીની ઓળખ મોતી રામ જાટ તરીકે થઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે તે 2023થી જાસૂસી ગતિવિધિમાં એક્ટિવ હતો અને પાકિસ્તાનને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ જાણકારી મોકલતો હતો. NIAએ મોતી રામની દિલ્હીથી ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશ્યલ કોર્ટે આરોપીને 6 જૂન સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલ્યો છે. આ મામલે CRPFની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું, "સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર દરમિયાન, એક શખ્સ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યો હતો, તે વ્યક્તિને આગળની તપાસ માટે NIAને સોપવામાં આવ્યો છે. સાથે જ CRPFના નિયમોની સાથે અને ભારતના બંધારણની જોગવાઇ હેઠળ જવાનને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
CRPFએ જવાનને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો
જવાનની ધરપકડ બાદ CRPF નિયમો સાથે નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને કેટલીક સંવેદનશીલ જાણકારી મોકલતો હતો. ભારતમાં Operation Sindoor બાદ કેટલાક જાસૂસ પકડાયા છે. સૌથી ચર્ચિત નામ જ્યોતિ મલ્હોત્રાનું રહ્યું છે. યૂ ટ્યુબર જ્યોતિ પર પાકિસ્તાનને ગુપ્ત જાણકારી મોકલવાનો આરોપ છે. તે ભારતમાં પાકિસ્તાન હાઇકમિશન દ્વારા પાકના જાસુસી અધિકારીઓના સંપર્કમાં આવી હતી.
Operation Sindoor બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
ભારતે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો Operation Sindoor દ્વારા બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાન અને PoK સ્થિત કેટલાક આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. તે બાદ પાકિસ્તાની સેનાએ ભારતના કેટલાક શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. અંતમાં પાકિસ્તાને સીઝ ફાયર માટે મજબૂર થવું પડ્યું હતું.