દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં યોજવાની છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે. દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે.
આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે
આ વર્ષેની યાત્રામાં ઓપરેશન સિંદૂર તથા વિમાન દુર્ઘટના અંગેના ટેબ્લો પણ હશે. જગન્નાથ મંદિરમાં મગની પ્રસાદી પણ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આગામી 27 જૂનના રોજ શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ઉત્સવની તૈયારીઓને લઈને રૂટ નિરીક્ષણની કામગીરી શરૂ થઈ ગઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ
શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ હતુ. નિરીક્ષણ દરમિયાન ભયજનક મકાનો, રસ્તાઓની સ્થિતિ, ઝાડની ટ્રીમિંગ અને અન્ય મહત્વની બાબતોની માહિતી એકત્ર કરવામાં આવી. મેયર પ્રતિભા જૈને GSTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રથયાત્રાને સફળ અને સુરક્ષિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.