
નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા જતા બનાવને લઈને સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવાની કામગીરીને હાથ ધરવામાં આવશે.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ઓલ્ડ એન.એચ નં. ૮ મહત્વનો માર્ગ જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજ નવનિર્માણ પામ્યા બાદ આ બ્રિજ પરથી આત્મહત્યાના બનાવો વધી ગયા હતા. જેને લઈને બ્રિજની બંને બાજુ સુરક્ષા ગ્રીલ લગાવવા વારંવાર લેખિત અને મૌખિક માંગ યુવા સામાજીક કાર્યકર યોગી પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી આત્મહત્યાના બનાવ અટકાવી શકાય.
જે બાબતે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્નારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના પરિણામે ત્વરિત નિર્ણય લઈ નર્મદામૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ (G.I.) વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જેમાં બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવનાર છે. જે નિર્ણયને યોગી પટેલે આવકારી તંત્રનો આભાર માન્યો હતો.