
Gondal news: રાજકોટ જિલ્લાના ગોંડલના ચકચારી હનીટ્રેપ કેસમાં આજે બપોર બાદ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતના 4 વ્યકિતઓના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. હનીટ્રેપ કેસમાં તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પદ્મિનીબા વાળા,તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા,શ્યામ રાયચૂરા,હિરેન દેવડિયા સહિતના આરોપીઓના ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો આદેશ કર્યો છે.
ગોંડલના હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર હોવાનો ખુલાસો થયો છે. આરોપી પક્ષના વકીલ તરીકે હિતેશ વીરડા સહિતનાઓની દલીલ ધ્યાને લઈને આરોપીઓને છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
શું છે આખી ઘટના
જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ વાળા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.
બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો કે મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. આરોપ છે કે બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી.