
Junagadh news: જૂનાગઢ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ બંધ થવાનું નામ લેતો નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપ અગ્રણી વચ્ચેના વિવાદ બાદ હવે ભાજપ સંચાલિત સાવજ ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ખુદ ભાજપના અગ્રણીએ જ કરતા રાજકારણ ગરમાયું છે.
ભાજપ શાસિત સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. પોતે ભાજપના આગેવાન હોવા છતાં જિલ્લા પંચાયતના ડીડીઓ સામે સરપંચ યુનિયનના નામે આંદોલન કરી રહ્યા છે. ત્યારબાદ ભાજપના શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી હરેશભાઈ ઠુંમરને ધમકી આપી વિવાદમાં આવ્યા છે. હવે દિનેશ ખટારીયા સામે વધુ એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. ખોખરડા સ્થિત આવેલી સાવજ ડેરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને તેની તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. માંગણી કરનાર ખુદ ભાજપના જ અગ્રણી છે અને તેઓ સાવજ ડેરીના ડિરેક્ટર પણ છે માણાવદરના મટીયાણા ગામના રાજુભાઈ બોરખતરીયાએ સહકારી મંત્રી સહિતનાઓને ફરિયાદ કરીને સાવજ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટેની માંગ કરવામાં આવતા રાજકારણમાં ચકચાર મચી ગઈ છે.