
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ખોફનાક દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી છે.
દોડધામ મચી ગઈ
242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ફાયર કાફલો રવાના
એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. જેથી વડોદરાથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થઈ ગયો છે.