
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામમાં વર્ષ 2012માં બનેલી આ આંગણવાડી નંબર 2ની છત ઉપરથી ટપકતું પાણી...ભીની દિવાલો અને આંગણવાડીની જર્જરીત અવસ્થા એ તંત્ર સામે નહીં પરંતુ આવતી કાલના દેશના ભાવિ સમાન ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્નચિન્હ સમાન છે.
ભૂલકાઓના ઘડતર સામે સવાલ
અત્રોલી ગામમાં ગ્રામ પંચાયત કચેરી પાસે વર્ષ 2012 માં બનેલ જર્જરીત આંગણવાડીમાં ચોમાસુ શરૂ થાયને આંગણવાડીમાં પાણી ગળે છે, નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસ માટેના તેમના ભવિષ્યના ઘડતર માટેનું પહેલું પગથિયું કહી શકાય એવા નંદ ઘરનું ચણતર મજબૂત ન હોય તો ભારતના ભાવિ સમાન આજના ભૂલકાઓનું ઘડતર મજબૂત કેવીરીતે બનશે..?? તેવા સવાલો ઊભા થયા છે. આંગણવાડીમાં પાણી ગળતું હોવાને લઈ નાના નાના ભૂલકાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
નાસ્તાની સામગ્રી બગડી જાય
આંગણવાડી કાર્યકર નું માનીએ તો ચોમાસામાં છત. ઉપરથી સતત પાણી ટપકતું હોવાને લઈ આંગણવાડીમાં અંદર પાણી જ પાણી થઈ જાય છે તેવામાં બાળકોને બેસાડે તો કયા બેસાડે ..બાળકો કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરી નથી શકતા બાળકોને સતત ઊભા રહેવું પડે છે અને ઊભા રહે તોપણ તેમના માથે પાણી ટપકતા તેઓ પલળી જાય છે, પોતાના બાળકો પલળી જવાને લઈ બીમાર થઈ ન જાય એટલે વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળે છે, ભૂલકાઓ માટેના નાસ્તા માટે આવતી સામગ્રી પણ બગડી જાય છે, સાથે મમતા દિવસની ઉજવણી સમયે આંગણવાડીએ આવતી કિશોરીઓ ,સગર્ભા અને ધાત્રી માતાઓ પણ બેસે તો ક્યાં બેસે ...??
ઓટલો પણ તૂટી ગયો
કિશોરીઓ અને સગર્ભાઓ ને આંગણવાડીમાંથી વિતરણ કરવા માટેનો નાસ્તો અને પૌષ્ટિક આહાર માટેના પેકેટ્સ પાણીમાં પલડવાથી બગડી જાય છે ,આંગણવાડીના ઓટલાનો ભાગ પણ તૂટેલો અને ખાડા વાળો છે જેને લઈ રોજ બાળકો પડી જાય છે અને ઇજાગ્રસ્ત બને છે. આંગણવાડીં કાર્યકર અને વાલીઓની માંગ છે કે તેમના ભૂલકાઓ માટે નવીન આંગણવાડી બનાવી આપવામાં આવે. તો ગામના અન્ય ખુંડાપીપળા ફળિયામાં વર્ષોથી આંગણવાડી નું બાંધકામ અધૂરુ પડ્યુ છે, બાળકોને આંગણવાડી કર્મી ના ઘરના છાપરામાં બેસાડવામાં આવી રહ્યા છે.