જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગુરૂવારે લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા 70 વર્ષના વૃદ્ધ ખેડૂત પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દેવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધી એક ખેડૂતની અટકાયત કરી લીધી છે.

