
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા અને વિશ્વને એકીકૃત થવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આતંકીઓને કોઈપણ કારણોસર છોડવા ન જોઈએ. એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદી સંગઠન અમુક દેશો માટે કામ કરે છે, એવું પણ કરવા ન દેવું જોઈએ. આ સિવાય તેમણે વૈશ્વિક સમુદાય પાસે અપીલ કરી છે કે, કોઈપણ દેશના પરમાણું બ્લેકમેલ સામે નતમસ્તક ન થવું જોઈએ. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતનો હુમલો આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો સીધો સંદેશો આપે છે.
નોંધનીય છે કે, એસ જયશંકર ત્રણ દિવસ અમેરિકાની મુલાકાતે છે. ત્યાં તેમણે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં આતંકવાદ માનવીય નુકસાન નામની પ્રદર્શનીનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રદર્શની 30 જૂનથી 3 જુલાઈ અને 7 જુલાઈથી 11 જુલાઈ સુધી બે સ્થાન પર પ્રદર્શિત થશે. મહત્વની વાત છે કે આ ઉદ્ધાટન એવા સમયે થયું જ્યારે મંગળવારે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા શરુ કરવા જઈ રહ્યો છે.
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે ખતરો છે. સાથે જ સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યો જેવા માનવાઅધિકાર, નિયમ-કાનૂન અને દેશો વચ્ચે આપસી સંબંધોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ દેશ પોતાના પાડોશી દેશ વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, કટ્ટરતના તેને વધારે છે, અને ગેરકાયદેસર કામો કરે છે, ત્યારે તેને વિશ્વની સામે ખુલ્લો પાડવો જરુરી છે.
એસ જયશંકરે 22 એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લ્ખ કર્યો. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાની ટીકા કરી હતી અને જવાબદાર આતંકિયોને કડક સજા આપવાની માંગ કરી હતી. વધુમાં એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદ ક્યાંય પણ હોય, પણ તે દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો જ છે. જેથી વિશ્વએ એકીકૃત થઈ તેનો જવાબ આપવો જોઈએ.
પ્રદર્શનીમાં 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ, 2008માં મુંબઈમાં થયેલો હુમલો અને પહલગામ જેવા આતંકી કૃત્યો દર્શાવવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન આધારિત કેટલાક સંગઠનો અને વ્યક્તિઓના નામ પણ સામેલ છે.
એસ જયશંકરે ભાર દઈને જણાવ્યું કે, આતંકવાદનો ભોગ બનેલા પરિવારનું દુ:ખ આપણને યાદ કરાવે છે કે તેને દરેક રુપમાં ખતમ કરવાની જવાબદારી આપણી છે. સંયુક્ત રાષ્ટ્રમાં આપણે ફક્ત યાદ નથી કરવાનું પણ એ મૂલ્યો અને માનવાધિકારોની રક્ષા માટે આપણે પગલાં લેવા જોઈએ.