
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કરાલી ગામના બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં નંદપુર ગ્રામ પંચાયતમાં વીસી તરીકે અને પત્રકાર તરીકે કામ કરનારનું મોત નીપજ્યું હતું. મૃતક મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ઈક્કો ગાડી ચાલકે ટક્કર મારીને અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં. જયારે રતનપુર(ક) સરપંચ તેમજ તેના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે, આ અકસ્માત નહિ પરંતુ હત્યા કરવામાં આવી છે. જેને લઈને પોલીસ તમામના જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારના માતાપિતા પણ આક્ષેપ કરી રહ્યા છે કે, અમારા પુત્રની હત્યા થઇ છે. જેથી પોલીસ નિષ્પક્ષ તપાસ કરે.
ખેતર જવા નીકળ્યા હતા
સંખેડા તાલુકાના નંદપુર ગામે વીસી તરીકે ફરજ દીપકભાઈ હસમુખભાઈ બારીયા બજાવે છે. છીપાકોઈમાં રહેતા અને પત્રકાર તરીકે કામ કરતા હતાં. સાથે જ તે ખેડૂત પણ હતા. તારીખ 18/4/2024 ના રોજ હીરો હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 06 સીઈ 7063 રાયપુર (વડિયા ) ગામે આવેલી જમીનમાં તુવેર કાપવા માટેની કામગીરી હોય તે માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે કરાલી બ્રિજ પાસે ઈક્કો ગાડી નંબર જીજે 34 બી 3577 ના ચાલક મોટરસાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે દીપકભાઈ હસમુખભાઈ બારીયા બેભાન થઇ ગયા હતા.અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા વડોદરા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. વડોદરા એસએસજી હોસ્પિટલના ડોકટરે મૃત જાહેર કરેલ જયારે ઈક્કો ગાડી સંચાલક મનોજભાઈ પ્રાગજીભાઈ બારીયા રહેવાસી નંદપુર તાલુકો સંખેડા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત માં મૃત્યુ પામનારના પિતા હસમુખભાઈ મુળજીભાઈ એ ફરિયાદ નોંધાવી છે.
હત્યાના આક્ષેપ
ફરિયાદીએ એક્સિડેન્ટ કરનાર ઈક્કો સંચાલક સાથે જૂની અદાવત પણ હતી અને આડા સબંધોના વહેમને લઈને ઝઘડો પણ થયો હતો. સમગ્ર મામલામાં અકસ્માત નહિ પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સંખેડા તાલુકાના રતનપુર (ક) ના સરપંચ મોતીભાઈ ભગાભાઇનો સીધો આક્ષેપ છે કે, મારી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામગીરી કરે છે. વીસી તરીકે કામગીરી કરતા કર્મચારીએ અગાઉ સરપંચને જાણ કરી હતી કે, મારા ગામનો મનોજભાઈ મને હેરાન કરે છે. તેવી રજુઆત મને કરતા સરપંચ તરીકે આઉટપોસ્ટના જમાદારને મેં પણ રજુઆત કરી હતી. અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. એ ગંભીર ઘટના છે અને જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી છે. દરેક સમાજના લોકોને આગળ આવવા માટે આહવાન કર્યું છે. અકસ્માત થયો નથી અકસ્માત કરવામાં આવ્યો છે. જે ઘટના બની છે. તેને અકસ્માતમાં ખપાવવામાં આવે છે તે ઘટના ખોટી છે. હત્યા કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે