
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદી અને તેના આકાઓનો નાશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં મોદી સરકાર હવે સંપૂર્ણ સક્રિય દેખાઈ રહી છે. આજે રાજધાની દિલ્હીમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે કારણ કે 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ રહી છે. PM મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે.
કેબિનેટ બેઠક પછી અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે વધુ એક મિટિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ કેબિનેટ બેઠક પછી હાલમાં બીજી બેઠક યોજાઈ રહી છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીની હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે અલગથી મિટિંગ યોજાઈ રહી છે.
પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહીની યોજના તૈયાર કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે પાકિસ્તાન અને આતંકવાદ પર એક ડોઝિયર તૈયાર કર્યું છે. જેમાં જણાવવામાં આવશે કે પાકિસ્તાનનો આતંકવાદને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. વિશ્વભરમાં આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે.
જણાવી દઈએ કે, ટોચના પાકિસ્તાની નેતાઓએ સમયાંતરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, પાકિસ્તાનની જમીનનો ઉપયોગ લોન્ચ પેડ તરીકે થાય છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ હમણાં સ્વીકાર્યું કે, પાકિસ્તાન ઘણા દાયકાઓથી આતંકવાદને ટેકો આપી રહ્યું છે. અગાઉ, તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સ્વીકાર્યું હતું કે, 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. મુશર્રફે આતંકવાદી તાલીમ શિબિરોના અસ્તિત્વનો પણ સ્વીકાર કર્યો હતો.