
પંચકુલાના સેક્ટર-27માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દેહરાદૂનનાં એક પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી. એવું કહેવાય છે કે સેક્ટર 27 માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં બધાના મૃતદેહ બંધ હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિવાર ભારે દેવામાં ડૂબેલો હતો, તેથી જ તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક જ પરિવારના 7 લોકોએ કારમાં કરી આત્મહત્યા
મળતી માહિતી મુજબ, દેહરાદૂનનો રહેવાસી પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી, દેહરાદૂન પરત ફરતી વખતે, તેઓએ સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. મૃતકોમાં દહેરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, પ્રવીણના માતા-પિતા, પ્રવીણની પત્ની અને બે પુત્રીઓ અને એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
પોલસીને ઘટનાસ્થળથી મળી સુસાઈડ નોટ
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. હાલમાં, સાતેય મૃતદેહોને પંચકુલાની ખાનગી હોસ્પિટલોના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિક અને ડીસીપી કાયદો અને વ્યવસ્થા અમિત દહિયા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસમાં રોકાયેલા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ માટે નમૂના એકત્રિત કર્યા.
7 લોકોએ કારમાં ઝેર ગટગટાવ્યું
પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું હતું કે એક જ પરિવારના 7 લોકોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથામાં ભાગ લેવા માટે આ પરિવાર ઉત્તરાખંડના દેહરાદૂનથી આવ્યો હતો. ડીસીપીના મતે, પરિવાર પર ઘણું દેવું હતું. કદાચ એટલા માટે જ આ પગલું ભર્યું હશે. હાલમાં, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.