
ગમારપણામાં દુબે સૌના બાપ, ધનખડ રાષ્ટ્રપતિપદની લાલચમાં ચાપલૂસી પર ઉતર્યા
સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ ભાજપ સાંસદ નિશિકાંત દુબેના ગમારપણા કરતાં વધારે આઘાતજનક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં નિવેદનો છે. ધનખડ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ અને કાઉન્સેલ રહી ચૂક્યા છે એ જોતાં તેમને બંધારણની સમજ ના હોય એ માની શકાય. આમ છતાં ભાજપની નેતાગીરીની ચાપલૂસી કરવા તેમણે સુપ્રીમ કોર્ટ સામે બેફામ નિવેદનબાજી કરી નાંખી. ધનખડ ભાજપ નેતાગીરીની ચાપલૂસી કરી રહ્યા છે તેનું કારણ રાષ્ટ્રપતિ બનવાની મહત્વાકાંક્ષા છે. દ્રૌપદી મુર્મુ ૨૦૨૭માં નિવૃત્ત થાય ત્યારે પોતાનો નંબર લાગી જાય એ માટે ધનખડ પોતાના હોદ્દાનું ગૌરવ પણ ભૂલી ગયા છે.
સુપ્રીમ કોર્ટ સામેનાં બેફામ નિવેદનોને ભાજપ હાઈકમાન્ડના આશિર્વાદ છે. ભારતમાં સંસદ નહીં બંધારણ સર્વોપરી, સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદાને ફગાવી શકે. ભારતમાં સંસદ સર્વોપરી છે એવું કહેવાય છે પણ વાસ્તવમાં બંધારણ સર્વોપરિ છે. બંધારણમાં સંસદ અને ન્યાયતંત્ર એકબીજાને બેફામ બનતાં રોકે એ પ્રકારની ઘણી જોગવાઈઓ કરાયેલી છે.
ભારતના બંધારણ પ્રમાણે, સંસદને કાયદા બનાવવાનો અધિકાર છે પણ આ કાયદા બંધારણની મર્યાદામાં રહીને બનાવવા પડે. કોઈ પણ બંધારણીય જોગવાઈનો ભંગ થતો કાયદો સંસદ પણ ના બનાવી શકે. સંસદને કોઈ બંધારણીય જોગવાઈ યોગ્ય ના લાગતી હોય તો તેને બંધારણીય સુધારા દ્વારા નાબૂદ પણ કરી શકાય અને બદલી પણ શકાય. બંધારણીય સુધારો સંસદનાં બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવો પડે. એ પછી દેશનાં તમામ રાજ્યોની વિધાનસભામાંથી ૫૦ ટકા વિધાનસભામાં બહુમતીથી તેને મંજૂરી અપાય પછી જ બંધારણીય સુધારો થાય.
ભાજપના નેતા બકવાસ કરે છે કે સંસદે બનાવેલા કાયદાને કોઈ પડકારી ના શકે પણ એ હળાહળ જૂઠાણું છે. સંસદે બનાવેલા કાયદાની સમીક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે. ભારતના બંધારણે સુપ્રીમ કોર્ટને જ્યુડિશિયલ રીવ્યુનો અધિકાર આપ્યો છે. બંધારણની કલમો ૧૩, ૩૨, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૪૩, ૨૨૬ અને ૨૪૬ હેઠળ મળેલા અધિકારો દ્વારા બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય એવા સંસદે પસાર કરેલા કાયદાને પણ સુપ્રીમ કોર્ટ રદ કરી શકે છે. કેન્દ્ર સરકારે જેમનો સમાવેશ નવમા શીડયુલમાં કર્યો હોય એવા કાયદા સિવાયના બંધારણીય જોગવાઈઓનો ભંગ કરતા તમામ કાયદા રદ કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે.
પહેલી વાત એ કે, સુપ્રીમ કોર્ટ ગમે તેને આદેશ આપી શકે અને આ અધિકાર તેને આ દેશના બંધારણે આપ્યો છે. દેશના બંધારણે સુપ્રીમ કોર્ટને બંધારણની રક્ષક બનાવીને બંધારણની રક્ષા માટે જરૂરી બધું જ કરવાનો અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણની કલમ ૧૪૨ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, સુપ્રીમ કોર્ટમાં પડતર કોઈપણ મુદ્દે ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ આદેશ આપવાની સત્તા સુપ્રીમ કોર્ટને છે. ભારતના રાષ્ટ્રપતિ બંધારણના દાયરામાં જ આવે છે તેથી ન્યાય માટે જરૂરી લાગે તો સુપ્રીમ કોટ ર્રાષ્ટપતિને પણ આદેશ આપી શકે છે. ભાજપના નેતા રાષ્ટ્રપતિ બંધારણથી પર હોય એવું ચિત્ર ઉભું કરવા મથે છે પણ રાષ્ટ્રપતિએ પણ બંધારણને અનુસરવું ફરજિયાત છે. એ દેશના રાષ્ટ્રપતિ છે, રાજા નથી ને 'સુપ્રીમ' પણ નથી.
દુબેએ બુધ્ધિનું પ્રદર્શન કરીને કહ્યું કે, દેશના ચીફ જસ્ટિસની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ત્યારે રાષ્ટ્રપતિને ચીફ જસ્ટિસ કઈ રીતે આદેશ આપી શકે ? આ પણ ગમારપણાનું પ્રદર્શન છે કેમ કે ચીફ જસ્ટિસની નિમણૂક રાષ્ટ્રપતિ નથી કરતા. બંધારણની કલમ ૧૨૪(૨) પ્રમાણે, વિદાય લઈ રહેલા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના અન્ય જજો સાથે ચર્ચા પછી ભાવિ ચીફ જસ્ટિસના નામની ભલામણ કરે છે. રાષ્ટ્રપતિ પોતાની રીતે ચીફ જસ્ટિસ ના નિમી શકે. એમ તો રાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે એટલે ચીફ જસ્ટિસને રાષ્ટ્રપતિની ઉપર માની લેશો ?
ભાજપના નેતાઓનો બીજો મુદ્દો પણ વાહિયાત છે. સુપ્રીમ કોર્ટ કોઈ નવા કાયદા બનાવીને સુપર પાર્લામેન્ટ તરીકે નથી વર્તી રહી પણ બંધારણની રક્ષા માટે વર્તી રહી છે. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલોને પાંચ-સાત વર્ષ સુધી રોકી રાખવાનો કોઈ અધિકાર નથી. લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ સર્વોપરિ છે એવો દાવો ભાજપના નેતા કહે છે પણ દલાલી સરકારની ચાપલૂસી કરીને હોદ્દા પર બેસી ગયેલા રાજ્યપાલોની કરે છે, ચૂંટાયેલી પાંખ એવી રાજ્યોની વિધાનસભાઓની નહીં.
કોમેડી પાછી એ છે કે, આ જ ભાજપના નેતાઓને સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી, ૫૦ ટકાથી વધારે અનામત થઈ જઈ હોવા થતાં ઈડબલ્યુએસ અનામતને મંજૂરી આપી કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરતો ચુકાદો આપ્યો ત્યારે સુપ્રીમ કોર્ટ સામે વાંધો નહોતો. હવે સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગી રહી હોય એવું લાગે છે.
એક મહત્વની વાત એ પણ છે કે, ભાજપે દુબે, શર્મા સહિતના નેતાઓનાં નિવેદનોના મામલે ભલે હાથ ખંખેરી નાંખ્યા હોય પણ વાસ્તવમાં દુબે, શર્મા વગેરે ચાવી આપેલાં પૂતળાં છે. ભાજપ હાઈકમાન્ડમાં સુપ્રીમ કોર્ટે સામે ખુલ્લંખુલ્લા બોલવાની હિંમત નથી એટલે દુબે ને શર્મા જેવા નમૂનાઓને આગળ કરીને સુપ્રીમ કોર્ટની ટીકા કરાવે છે. બાકી ખરેખર દુબે-શર્માનાં નિવેદનો સાથે ભાજપને કંઈ લેવાદેવા ના હોય તો ભાજપે તેમની સામે પગલાં લેવાં જોઈએ. બીજું કશું ના કરે તો કંઈ નહીં પણ પોતાનાં નિવેદનો પાછાં લેવાનું તો કહી જ શકે પણ ભાજપની નેતાગીરીએ તેમને કશું કર્યું નથી તેનો અર્થ શો?
સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિને વિધાનસભાએ પસાર કરેલાં બિલો રોકી રાખવા બદલ તતડાવીને ઐતિહાસિક ચુકાદો આપ્યો એ મુદ્દે ઘમાસાણ જામ્યું છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં રાજ્યપાલ રવિએ રોકી રાખેલાં વિધાનસભામાં પસાર થયેલાં ૧૦ બિલોને તો પાસ પણ કરી દીધાં જ પણ સાથે સાથે ઐતિહાસિક ચુકાદો પણ આપ્યો કે, રાજ્યપાલોએ વિધાનસભાઓ પસાર કરેલાં બિલો અંગે વધુમાં વધુ ત્રણ મહિનામાં નિર્ણય લેવો જ પડશે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને પણ આદેશ આપ્યો છે કે, સંસદ કે રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે ત્રણ મહિનામાં નિર્ણય લેવો જ પડશે.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરથી માંડીના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિતના ભાજપના નેતા ઉકળી ઉઠયા. સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગી રહી છે અને સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે ત્યાંથી માંડીને સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપી જ ના શકે ત્યાં સુધીના લવારા આ લોકોએ કર્યા. આ લવારા ચાલુ હતા ત્યાં સુપ્રીમ કોર્ટે સંસદે પસાર કરેલા વક્ફ એક્ટમાં સુધારાને સ્થગિત કરતો આદેશ આપ્યો.
વક્ફ એક્ટમાં સુધારાને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોદી સરકારને મરચાં લાગે એવા સવાલો પણ કર્યા. છેવટે કેન્દ્રને જવાબ રજૂ કરવા ૭ દિવસની મહેતલ આપીને કાયદાનો અમલ સ્થગિત કરી દીધો. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભાજપના જીહજૂરીયા મેદાનમાં આવી ગયા અને પાછી સુપ્રીમ કોર્ટ સામે સાવ હલકી કક્ષાની આક્ષેપબાજી શરૂ થઈ ગઈ.
ઝારખંડના ગોડ્ડાના સાંસદ નિશિકાન્ત દુબે આ આક્ષેપબાજીમાં મોખરે છે. દુબેએ સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગી રહી છે અને ભારતમાં ધાર્મિક યુધ્ધ ભડકાવી રહી છે એવો આક્ષેપ કરી નાંખ્યો. દુબેએ તો સુપ્રીમ કોર્ટને સંસદે બનેલા કાયદાને રોકવાનો કે રાષ્ટ્રપતિને આદેશ આપવાનો કોઈ અધિકાર નથી એવું અજ્ઞાન પિરસીને જાહેર કરી દીધું કે, સુપ્રીમ કોર્ટ આ દેશને અરાજકતા તરફ લઈ જવા માંગે છે.
દિનેશ શર્મા, મનન કુમાર મિશ્રા સહિતના બીજા નેતાઓએ પણ આ પ્રકારનાં નિવેદનો કર્યાં. રાષ્ટ્રપતિ સુપ્રીમ છે તેથી તેને તો કશું કહી જ ના શકાય એવી હાસ્યાસ્પદ વાતો પણ થઈ. તેના કારણે હોહા મચી પછી ભાજપમાં ગમારપણાનું પ્રદર્શન કરવાની હોડ જામી ગઈ છે. ભાજપના બીજા નમૂના દુબે-શર્મા-વર્માની ત્રિપુટીની વાતને ટેકો આપીને નિવેદનબાજીમાં મચી પડયા છે.
નિશિકાન્ત દુબે ગમારપણામાં ભાજપના બધા નેતાઓના બાપ સાબિત થયા છે. દુબેએ સુપ્રીમ કોર્ટ ૨સામે બળાપો કાઢયા પછી મીડિયા સામે કહ્યું કે, હવે પછી સંસદની બેઠક મળશે ત્યારે સુપ્રીમ કોર્ટની મનમાની અંગે ચર્ચા કરવામાં આવશે. દુબે ૨૦૦૯થી લોકસભામાં ચૂંટાય છે પણ આ માણસને એટલી ખબર નથી કે, ભારતના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજના વ્યવહાર કે ચુકાદા વિશે સંસદમાં ચર્ચા ના કરી શકાય. બંધારણની કલમ ૧૨૧ પ્રમાણે, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના કોઈ જજને દૂર કરવાની દરખાસ્ત રાષ્ટ્રપતિ સમક્ષ મૂકાઈ હોય એ અપવાદને બાદ કરતાં કોઈમ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજોના વર્તન અંગે ચર્ચા કરી ના શકાય. ચૂંટાયેલા પ્રતિનિધીઓ ન્યાયતંત્રને નિશાન ના બનાવે અને ન્યાયતંત્રમાં દખલ કરીને તેની કામગીરી પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન ના કરે એ માટે આ જોગવાઈ કરાઈ છે.
આ નિવેદનબાજી ભાજપે કેવા કેવા ગમાર અને બંધારણનું જ્ઞાન નથી એવા લોકોને સંસદમાં બેસાડી દીધા છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભાજપના નેતા બે મુદ્દે મચી પડયા છે. પહેલો મુદ્દો એ છે કે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ ના આપી શકે. બીજો મુદ્દો એ છે કે, સંસદે બનાવેલા કાયદાને સુપ્રીમ કોર્ટ ના રોકી શકે અને સુપ્રીમ કોર્ટ પોતે કાયદા બનાવીને સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે.