Home / GSTV શતરંગ / Dr. Bhagirath Jogia : Narendra Modi's achievement is fading in UP BJP's internal battle! Bhagirath Jogia

શતરંગ / યુપી ભાજપાની આંતરિક લડાઈમાં નરેન્દ્ર મોદીની સિદ્ધિ ઝાંખી પડી રહી છે!

શતરંગ / યુપી ભાજપાની આંતરિક લડાઈમાં નરેન્દ્ર મોદીની સિદ્ધિ ઝાંખી પડી રહી છે!

- જોગીજ્ઞાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ રાજકીય સફળતાનો એક દાયકાનો ઇતિહાસ લખાશે ત્યારે એમાં સૌથી ઉપરનું પ્રકરણ બેશક ઉત્તરપ્રદેશ હશે. યુપીમાં મુસ્લિમ, યાદવ, દલિત, બ્રાહ્મણ અને ક્ષત્રિય અને ઓબીસી જેવા મજબૂત ખાનાઓની વોટબેંકમાંથી અડધોઅડધ વોટ એક કરવા ખાવાના ખેલ ક્યારેય નહોતા

એક એવી ચેલેન્જ હતી જેમાં રથયાત્રા પછી અડવાણી-વાજપેયી પણ પૂર્ણત: સફળ નહોતા થયા. બાબરી વિધવંશ પછીની તરતની , 1993ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમ-કાશીરામ ગઠબંધન જીતી ગયેલું. એનું મૂળ કારણ કે ભાજપના હિંદુત્વ પર "સવર્ણવાદ"નું લેબલ લાગેલું હતું. ભાજપને ત્યારે અનેક પ્રયત્નો છતાં દલિત, ઓબીસી વોટ નહોતા મળતા. ઉંચી જાતિઓના વોટ બેશક અડવાણીની રથયાત્રા થકી વધ્યા પણ વોટ કંઈ પૂર્ણ બહુમતની સત્તા સુધી પહોંચાડે એમ નહોતા

પણ મોદી-શાહની જોડીએ 2014ની લોકસભામાં અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો. યુપીમાં 80માંથી 71 સીટ મેળવીને કેન્દ્રમાં કુલ 282 સીટ. વિકાસ, રાષ્ટ્રવાદ અને જ્ઞાતિઓની લામબંધીનું જે ત્રિકોણ રચાયું ભાજપના રાજકીય ઇતિહાસ માટે કોઈ ચમત્કારથી કમ નહોતું. ઓબીસી, દલિત પ્લસ જુના સવર્ણવાદી એમ તમામ જ્ઞાતિઓ "સનાતન" અમબ્રેલા નીચે એકજુથ થઈને નરેન્દ્ર મોદીને બ્રાન્ડ મોદી બનાવી દીધા.

2017માં વિધાનસભાનું ઇલેક્શન પણ મોદીના ચહેરા હેઠળ લડાયું, અને સવા ત્રણસો સીટની પ્રચંડ બહુમતી ફરીથી મળી. ત્યારે મુખ્યમંત્રી તરીકે મનોજ સિન્હા અને કેશવ ચંદ્ર મોર્યાનું નામ હોટ ફેવરિટ હતું. પણ સંઘના આગ્રહ અને અમિત શાહના અમુક કેલ્ક્યુલેશન પછી રાતોરાત લખનૌની ગાદી યોગી આદિત્યનાથને મળી. પણ યોગી આદિત્યનાથ પહેલા વરસથી પોતાનું સ્વતંત્ર રાજ ચલાવવામાં માનવા લાગ્યા. જે 2014 પછી ભારતના કોઈ ભાજપ શાસિત રાજ્યમાં અપવાદ હતો

દરમિયાનમાં યોગી આદિત્યનાથની બ્રાન્ડ પેન ઇન્ડિયા લેવલે છવાતી ગઈ. મોદી પછી કોણ? પ્રશ્નનો જવાબ હિંદુત્વવાદી મતદારોમાં "યોગીજી" નામે ચર્ચાતો પણ થયો. પણ યુપીની અંદરની માહોલ બીજો હતો. યોગી આદિત્યનાથના કામ વખણાતાં ગયા. માફિયાઓના એન્કાઉન્ટર, ગુનેગારોના ઓપરેશન લંગડા (પગમાં ગોળી મારવી), બુલડોઝર વગેરે વગેરે...પણ ક્યાંક ને ક્યાંક ફરીથી છબી "સવર્ણવાદી" બની રહી હતી. સમાંતરે, અમિત શાહની ગુજરાત લોબીનો યુપીમાં પ્રભાવ વધતો ગયો. મોટા મોટા કોન્ટ્રાક્ટ ગુજરાતીઓને મળવા લાગ્યા. (અયોધ્યાના પાર્કિંગ સ્ટેન્ડ સુધીના.) હવે ફરીથી અપવાદરૂપે યુપી ભાજપમાં યોગી અને શાહ એમ બે જૂથ બની ગયા

2020 આસપાસ તો 150 જેટલા ભાજપના ધારાસભ્યો યોગીની વિરુદ્ધ ધરણા પર બેસેલા. ફરીથી સંઘની દરમિયાનગીરીથી યોગીજીની ખુરશી ટકી રહી. 2022માં ખેડૂત આંદોલન પશ્ચિમ યુપીમાં જોર પકડી ગયેલું એમાં મોદીજી જરાક બેકફૂટ પર આવેલા. તમામ સર્વે ગુપચુપ કરતા ભાજપની હાર તરફ નિર્દેશ કરતા હતા. પણ પશ્ચિમ યુપીમાં યોગીનું હિંદુત્વ અસર કરી ગયું અને પૂર્વ યુપીમાં મોદીજીનું સનાતન ફેક્ટર. યાદ કરો બનારસમાં વિતાવેલી બે કે ત્રણ રાત. અને મોદી-યોગીના કોમ્બિનેશન થકી ભાજપ 250 ઉપરાંત સીટો સાથે ફરીથી સત્તામાં આવ્યું. બેશક 70 જેટલી સીટો ગુમાવી, પણ બહુમત ટકી રહ્યો. (2019માં પ્રચંડ રાષ્ટ્રવાદની મોદી લહેરમાં પણ ભાજપે નવ સીટો ગુમાવી પણ અધધ 61 સીટ લાવવામાં તો સફળ રહ્યું .)

પણ, 2024નું ઇલેક્શન અલગ હતું. રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન પછી પણ વાતાવરણ હળવેકથી દિશા ફેરવી ગયેલું અનુભવાતું. ઇલેક્શનનું રિઝલ્ટ આવતા ઇવીએમની સાથે ભાજપની નબળાઈ પણ ખુલી પડી કે દલિત, યાદવ, મુસ્લિમ અને અમુક ઓબીસીની જ્ઞાતિઓ તો ખરી . ઉપરાંત ઠીકઠીક ઊંચી જ્ઞાતિઓના મત પણ અખિલેશ-રાહુલના ખોળામાં જઈને પડ્યા. પરિણામે, ઇન્ડિયા ગઠબંધન 80માંથી 43 સીટ જીતી ગયું. હવે આટલી સીટો તો મુલાયમ સિંહના સુવર્ણયુગમાં પણ સમાજવાદી પાર્ટીને મળી નહોતી. અને ભાજપ આવી ગયું ફક્ત 33 સીટો પર. જે વાજપેયી યુગ કરતા પણ એક કે બે ઓછી હતી. અત્યારે ભાજપ હવે યુપીમાં વીસ વર્ષ પાછળની પરિસ્થિતિમાં આવી ગયું છે

ખૈર, ઇલેક્શન પછીની યુપીમાં મિટિંગો, મોર્યા-યોગીના ટકરાવ, ધારાસભ્યોના પોતાની રાજ્ય સરકાર બાબતે નિવેદનો વિશે ગતાંકોમાં લખેલું છે. હવે યોગી, મોદી અને શાહની ભવિષ્યની સ્ટ્રેટેજી શું હશે તો સમય જતાં ખ્યાલ આવશે. યોગીજી રાજીનામું આપશે કે ટકી રહેશે જવાબ પણ કાળની ગર્તામાં અત્યારે અટવાયેલો છે. પણ મુદ્દો છે કે હવે નરેન્દ્ર મોદીએ (કે પછી એમના ઉત્તરાધિકારી મનાતા અમિત શાહ કે અન્ય કોઈ?) ફરીથી યુપીમાં પ્રભુત્વ સ્થાપવા માટે 2029ની રાહ જોવી પડશે

- ડૉ.ભગીરથ જોગિયા



Icon