Home / GSTV શતરંગ / Dr. Bhagirath Jogia : The destruction of the budget of 2024 Bhagirath Jogia

શતરંગ / 2024ના બજેટનું બખડજંતર

શતરંગ / 2024ના બજેટનું બખડજંતર

- કરન્ટ કીક 

આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની રજુઆતમાં અમુક મોટા કોર્પોરેટ હાઉસને ટોણો મારતા કહ્યું કે, અમુક વર્ષોથી કોર્પોરેટ ટેક્સ સાવ નજીવો કરી દેવા છતાં તમે ભારતમાં રોકાણ કેમ નથી કરતા? એમના કટાક્ષ પાછળનો સ્પષ્ટ ઉદ્દેશ હતો કે ભારતમાં મોટી કંપનીઓ મોટા રોકાણ નહિ કરે તો યુવાનોને રોજગારી કોણ આપશે? અને રોજગારની બબાલમાં તો નરેન્દ્ર મોદીનો પ્રચંડ ચહેરો 63 સીટો ગુમાવીને તો 240 પર આવી ગયો છે

પણ ખરેખર તો કોર્પોરેટના રોકાણ પાછળ આખું ચક્ર ઉભું થયેલું છે. રોજગારી હોય નહીં, નાની આવકમાં મોંઘવારી નડતી હોય તો જનતાની ખરીદશક્તિ વધે નહિ ને માર્કેટમાં  કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ ઉભી ના થાય. પ્રોડક્ટની ડિમાન્ડ બાબતે આર્થિક નિષ્ણાંતો ઘોડાની જેમ કોઈ એક બાજુના ચશ્મા પહેરીને પોતપોતાની રીતે રજુઆત કરે છે. કોઈ મરસીડીઝ કારના વેચાણના આંકડા રજૂ કરે છે તો કોઈ વળી આઈફોનનું ભારતમાં માર્કેટ કેવું મોટું થઈ ગયું એની વાત કરે છે. પણ મરસીડીઝને બદલે મારુતિના વેચાણ કે આઈફોનને બદલે રેડમી ફોનના વેચાણના આંકડા જુઓ તો ભારતની આર્થિક સ્થિતનો સાચો ખ્યાલ આવે

ભારત વિશ્વનો સૌથી ઉગતો મિડલકલાસ છે, બાબતને આજની તારીખે કોઈ નકારી શકે એમ નથી. કારણ છે કે રશિયા હોય કે અમેરિકા દરેક દેશ ભારતની પડખે ઉભા રહેવા કોશિશ કરે છે. પણ ઉપરછલ્લી વાહ વાહ પછીનો સવાલ આવે છે કે ભારત વિશ્વના દેશો સાથે ઈમ્પોર્ટ વધારે કરે છે કે એકસપોર્ટ? તો છેલ્લા સાત આઠ વર્ષનો આંકડો જોતા ખ્યાલ આવશે અને ખાસ તો કોવિડ પછીનો ગ્રાફ જોતા આંખ ખુલે કે આપણે આયાત વધારે કરીએ છીએ અને નિર્યાત ઓછી. રશિયા સાથે ઘઉંનો સોદો હોય કે ફ્રાન્સ અને ઇઝરાયેલ સાથે શસ્ત્રોનો, આપણે સતત મોંઘા દામ આપીને વેચવા કરતા ખરીદવું વધારે પડે છે. એટલે ટુ ધી પોઈન્ટ કહો તો ભારતની ઇકોનોમીમાં મોટી ખોટ છે.

હમણાં આપણી વાયુસેનાના ઉપપ્રમુખે કહ્યું કે સંરક્ષણની બાબતમાં ભારતે આત્મનિર્ભર બનવું જરાક જોખમી છે. એમના સ્ટેટમેન્ટને થોડામાં ઘણો વિસ્તાર કરીએ તો ખ્યાલ આવશે કે 90ના દાયકાથી અત્યાર સુધી આપણે સ્વદેશી ફાઇટર વિમાનો બનાવ્યા સફળ થયા નથી. એટલે રાફેલ જેવા મોંઘા સોદાઓ ફ્રાન્સ સાથે કરવા પડે છે. ઉપરાંત, લેટેસ્ટ ન્યુઝ મુજબ માઈક્રોસોફ્ટ થોડાક કલાકો માટે ઠપ્પ થયું તો ભારત સહિતનું અડધું વિશ્વ ઠપ્પ થઈ ગયું. એમાંથી બાકાત રહ્યા તો ફક્ત ચીન અને રશિયા. કેમ કે ટેકનોલોજી બાબતે સ્વનિર્ભર બનવામાં દેશોએ દાયકાઓ આપી દીધા છે. ઇન શોર્ટ, અમુક અઘરા ફિલ્ડમાં આપણે બીજાઓ પાસે ખરીદી કર્યા સિવાય ચાલે એમ નથી આયાત કરવામાં બજેટ વપરાય એટલે ડેફીનેટલી અન્ય જન સુવિધાઓ માટે ઘટવાનું

એટલે બજેટનું નિરીક્ષણ કરીએ તો મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે ચાઇના જેવા દેશો ઇકોનોમીના વીસ ટકા જેટલું બજેટ ફક્ત શિક્ષણમાં વાપરે છે, જ્યારે કોંગ્રેસ સાત ટકાની વાત કરતા કરતા ફક્ત ચાર ટકા આપે છે. પણ આજે 2024માં આપણું શિક્ષણ બજેટ ફક્ત અઢી ટકાએ આવીને અટકી ગયું છે. હેલ્થની બાબતમાં જોઈએ તો બહુ ગાજેલી આયુષ્યમાન ભારત યોજનામાં ફક્ત સો કરોડ વધ્યા છે. જ્યારે કાર્ડ તો અધધ ઇસ્યુ થયા છે. મતલબ કે શિક્ષણ અને આરોગ્ય બાબતે આપણે કાપ મુકવો પડ્યો છે. જે કૃષિના રિસર્ચમાં એક રૂપિયાના રોકાણમાં અગિયાર રૂપિયાનો ફાયદો થતો હોય ત્યાં એગ્રીકલ્ચર નિષ્ણાંતોના મતે વીસ હજાર કરોડ રૂપિયા ભારતે રોકવા જોઈએ. પણ એના અડધાથી પણ થોડાક ઓછા આપણે રોકી શક્યા છીએ

હવે એક સળગતો મુદ્દો બેરોજગારીનો જોઈએ તો બજેટમાં સરકારે ખરેખર એક પગલું ક્રાંતિકારી લીધું છે જેમાં 500 જેટલી કોર્પોરેટ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટરનશીપ માટે અમુક રકમ ચૂકવવાનો દાવો કરાયો છે. પણ ફરીથી નિર્મલાજીનું સ્ટેટમેન્ટ યાદ રાખવું પડે કે જે કંપનીઓ પોતાના ટેક્સ બાબતે લખલૂટ રાહત મેળવવા છતાં રોકાણ કરવા તૈયાર ના હોય પોતાને ત્યાં અમુક હજાર યુવાનોને ફરજિયાત એક વરસ માટે સ્ટાઈપેન્ડ ચૂકવવા તૈયાર થશે? અને થશે તો સતત પાંચ વરસ સુધી કરોડો રૂપિયા યુવાનોને રોજગારી આપવા જેવી એમની દાનત અને પરિસ્થિતિ છે ખરી

હા, બજેટમાં બખ્ખા પડ્યા હોય તો ચંદ્રાબાબુ નાયડુને છે. ફક્ત એક અમરાવતી કેપિટલના વિકાસ માટે પંદર હજાર કરોડ રૂપિયા. બજેટ અગાઉ સાઈઠ હજાર કરોડ રૂપિયા મંજુર થયા નફામાં. પણ રકમ કે આની આસપાસનું કોઈ બજેટ સતત બીજા ચાર વર્ષ સુધી આંધ્રપ્રદેશને આપવું પડશે? જો એક રાજ્યને આટલું બજેટ ફક્ત સરકાર ટકાવી રાખવા માટે આપવું પડે તો પછી અગ્નિવીર જેવી યોજનાઓમાં હજારો યુવાનોને ફક્ત ચાર વર્ષ પછી નિવૃત કરી દેવાને બદલે એમને અમુક સુવિધાઓ આપીને દેશની સેના મજબૂત શું કામ બનાવાય? નીતીશબાબુને ભલે અઠ્ઠાવન હજાર કરોડ મળ્યા હોય પણ અંતે તો પોતાની માંગણી કબૂલ કરાવવામાં નિષ્ફળ ગયા છે. કેમ કે, નીતિન ગડકરીના છવ્વીસ હજાર કરોડના એક્સપ્રેસ વેના પ્રોજેકટને પણ એમાં ગણી લેવાયો છે. સીધી વાત છે કે જ્યાં ઘોર ગરીબીમાં ઈન્ડસ્ટ્રીની જરૂર હોય ત્યાં એક્સપ્રેસ વે આવે એટલે એની આસપાસ તો એક પાનનો ગલ્લો પણ ના ખુલી શકે. ત્યાંના ગયા જિલ્લામાં ઈન્ડસ્ટ્રી નાખવાનું પ્લાનિંગ થયું છે પણ ભીષણ ગરમીના વાતાવરણમાં સિમેન્ટ સિવાય કોઈ ઈન્ડસ્ટ્રી રેરલી પોસીબલ છે

ખૈર, નિષ્ણાંતોની વાતો સાંભળીને આપણે મિડલકલાસ અમથે અમથા ખુશ થઈએ કે નિસાસા નાખીએ પણ છેલ્લે તો ગરીબોના ભાગે પાંચ કિલો અનાજ કે મિડલકલાસના ભાગે બચતના ભોગે ખર્ચો કરવાના હાયકારા સિવાય કશું આવ્યું નથી. ઉલટું પ્રો. અરુણ કુમાર કે અરવિંદ સુબ્રમણ્યમ જેવા વિદ્વાનોની વાત સાંભળીને આપણે આઘાત પામવો પડશે, કારણ કે દેશના કોર્પોરેટ હાઉસો કરતા બે ટકા ટેક્સ આપણે ગરીબો કે મધ્યમવર્ગીય માણસોને વધુ ચુકવવાનો આવશે. સોનુ સસ્તું થયાના સમાચાર ઊંચા લોકો માટે છે, પણ આપણે તો ટામેટા મોંઘાભાવે ખરીદવાના છે. ટૂંકમાં અંતે તો હેમનું હેમ!

- ડૉ.ભગીરથ જોગિયા



Icon