
- જોગીજ્ઞાન
માણસ પોતાનું વતન છોડીને પરદેશ શા માટે જાય છે? પોતાની પત્નીને રહેવા માટે સારું ઘર લઈ શકે, બાળકોને સારી સ્કૂલમાં શિક્ષણ આપી શકે. હિન્દુસ્તાનના ગરીબ કે મધ્યમ વર્ગની જિંદગીનું આ જ સપનું હોય છે. એક પોતાનું કહી શકાય એવું ઘર, બાળકોનું એજ્યુકેશન અને વૃદ્ધ મા બાપની બીમારીઓમાં ઠીકઠાક છૂટથી સારવાર કરી શકાય એટલી બચત..
પણ ઘણીવાર થાય છે એવું કે- જાવું હતું સમુદ્ર ભણી ને રણમાં જઈ ચડ્યો. દરેક હિંમતવાન, ઉત્સાહી અને સાહસિક યુવાનને ધારેલી મંઝીલો નથી મળતી. ઉલટું કાંતિ ભટ્ટ કહેતા એમ- દુઃખ પછી સુખ આવે જ છે, એ થાલું આશ્વાસન છે. ઘણીવાર દુઃખીના દાળિયા થઈ ગયા પછી ફરીથી દુઃખ આવતું હોય છે. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયોની માફક કશુંક નવું કરવા જતા, જે હાથમાં હતું એ પણ સરકી જાય.
પણ હવે, એ બધી જૂની વાતોનો કોઇ અફસોસ કે કોઈ પીડા યાદ રાખવાનો મતલબ નથી. અલબત્ત, સતત અત્યાચાર અને અપમાનથી તૂટી ગયેલા માણસને ભૂતકાળ બહુ યાદ રહેતો નથી. હા, ક્યારેક કશુંય બોલ્યા વિના એકાંતમાં એક બે આંસુ પાડી લેવાની જ હ્ર્દય અનુમતિ આપે છે. કેમ કે, હવે કોઈ સાંભળનાર નથી, કે નથી કોઈ સમજનાર. હવે એનો માલિક ઈશ્વર, અલ્લાહ કે ખુદા નથી, પણ શૈતાન છે. અને શૈતાનની ચુંગાલમાંથી છટકવાનું સહેલું નથી.
પણ શૈતાનની ચુંગાલમાંથી પણ છટકવાની માણસની જીજીવિષા તો હોય છે. શરીરમાં શકિત ના હોય, મગજ અને હ્ર્દય હિંમત હારી ગયા હોય. પણ પેલા નસીમી નામના ચિત્રકારની ચામડી બાદશાહના માણસો ઉતરડી રહ્યા હતા, અને બાદશાહે કટાક્ષમાં કહ્યું કે- તું તો પોતાની જાતને સૂરજની રોશની માનતો હતો, પણ ચામડી ઉતરતા જ તું તો સાવ ફિક્કો પડી ગયો. અને એ મર્દ કલાકાર બોલ્યો, શરીરની ઉતરી ગયેલી ચામડીથી લાલચોળ, આખા શરીરે કાળઝાળ અગ્નિની પીડા સાથે બોલ્યો, બોલ્યો નહિ પડકારો કર્યો- હું સમી રહેલી સાંજનો સૂરજ છું. જો બાદશાહ, હું પણ એ સૂરજની જેમ લાલચોળ છું...
ખૈર, 2008માં બેન્યામીન નામના લેખકે "આડુજીવિથમ" નામે એ વર્ષોની બેસ્ટ સેલર્સમાંની એક મલયાલમ નવલકથા લખી. આ નવલકથા એવી પ્રખ્યાત થઈ હશે તો જ, તે હવે 16 વરસ પછી એ જ નામે ફિલ્મ બનાવી છે.(જો કે ફિલ્મના મુખ્ય અભિનેતા પૃથ્વીરાજે તો નવલકથા પછી તરત જ ફિલ્મ બનાવવાનું મન બનાવી લીધેલું.) મલયાલમ ડાયરેકટર બ્લેસીએ મૂળ નવલકથા કરતા જરાક જ વાર્તા અલગ રચ્યો છે. પણ હીરોનું નામ એ જ રાખ્યું છે...નજીબ મોહમ્મદ!
આ ફિલ્મની સફળતા આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 82 કરોડના બજેટની સામે વિશ્વભરમાં 162 કરોડ કમાઇ ચૂક્યું છે. (શુક્રવારે મોડી રાતે આ લખાય રહ્યું છે ત્યારે!) બાકી દર્શકો બાબતે તો એટલું જ કે સોશિયલ મીડિયામાં લખાતી ભાવુક પોસ્ટ અને થોકબંધ વખાણ આપણી નજર સામે દેખાય જ છે!
- ડૉ. ભગીરથ જોગિયા