
- જોગીજ્ઞાન
આ જગતમાં માણસે પોતાની "ઈમેજ" બનાવવી એટલે શું? આપણે વાતે વાતે કહીએ છીએ કે મોદીની લાર્જર ધેન લાઈફ ઈમેજ, ધોનીની બ્રાન્ડ ઈમેજ, શાહરુખની ગ્રાન્ડ ઈમેજ વગેરે વગેરે...
ધોનીના અંતર્મુખી સ્વભાવ વિશે તો જાણનારાઓ જાણે જ છે. એ ભાગ્યે જ ક્યાંય સેલિબ્રેશનમાં હાઇલાઇટ થાય છે. શાહરુખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- મને દોસ્ત બનાવતા નથી આવડતા, જે દોસ્ત બન્યા એ મારી જિંદગીમાં ટકી નથી શકયાં. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તો અલગ જ "પિક્ચર" છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે 23 વર્ષના સમયગાળામાં કોઈ માઈનો લાલ એમ નથી કહેતો કે- મોદી સાથે આપણે જુના સંબંધ હો...
આટલા દાખલા કેસ સ્ટડી તરીકે લો તો કોમન ફેક્ટર એક નીકળે કે આ ત્રણેયના કોઈ અંગત દોસ્ત નથી, એમની પર્સનલ લાઈફની વાતો જાહેરમાં ચર્ચાતી નથી. અને પોતપોતાના સ્વભાવ પ્રમાણે "ધાક" એક નેચરલ બનતી હોય એટલે એમના કોઈ અંગત દોસ્ત કે બીજા પ્રોફેશનલ રિલેશનવાળાઓ પણ કશીક "વાર્તા" કરતા બીવે.
બાકી આસપાસ જ જોઈ લો. સીધા સરળ અને પારદર્શક માણસો જે જ્યાં ત્યાં "અંગત" સમજીને બધું બોલ બોલ કરતા હોય એ લાંબા ગાળે "મૂર્ખ" સાબિત થતા હોય. કેમ કે, આપણે પારદર્શક અને ખુલ્લા મનના હોઈએ એટલે બીજાઓ પાસે એવા જ વ્યવહારની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. કેમ કે, અનુભવ છે કે અંગત વાતો સાંભનારા અમુક અંગતને બાદ કરતા બાકીનાઓને ત્રણ કાન હોય જ છે. એમને ત્રણ કાન ના હોય તો દિવારો કે ભી તો કાન હોતે હૈ....હો, ભાઈ. માટે સાવધાન.
સફળ માણસ એકલો જ હોય છે એવું આપણે ઘણા ડાયરાઓ કે લેખકો પાસેથી સાંભળીએ છીએ. પણ એ કોઈ ટ્રેજેડી નથી. એમની આસપાસ તો ચમચાઓની ટોળકી કે મિત્રો બનવા થનગનતા માણસો હોય જ છે. છતાં, એ લોકો "ધરાર" એકલા હોય છે. એનાથી પર્સનલ લાઈફની પંચાતો જાહેરમાં થતી નથી. પોતાના કામ પર કોન્સન્ટ્રેશન રહે છે અને પીઠ પાછળ છરો ઘોપાયાની વેદનાથી ઘણા અંશે બચી શકાય છે. ચાની લારીએ કે પાનના ગલ્લે દોસ્તો સાથે કલાક બેસી રહેતા લોકો સફળ બને એવા ચાન્સ બહુ ઓછા હોય છે.
બાકી જો, તમારા એક બે કે ચાર અંગત મિત્રો સિવાયના લોકો તમારા વિશે બધું જ જાણતા થઈ જાય, તમારું જીવન ખુલ્લી કિતાબ જેવું બની જાય ત્યારે તમે ગમે એવા મહાન સેલિબ્રિટી હશો કે સામાન્ય સુખી જીવન જીવતા માણસ હશો તો પણ લોકો કહેશે કે---આને તો અમે વર્ષોથી ઓળખીએ. જુઓ કહું તમને એનો ઇતિહાસ! એમાં સીધો અને ઈજ્જતદાર માણસ વગરવાકે પોતાની "વેલ્યુ" ગુમાવી ચુકે છે. નિર્દમ્ભ અને પારદર્શક થવાનો આ એક માઇનસ પોઇન્ટ પણ છે.
હમણાં સામાન્ય વાતચીતમાં અમારા વડીલ મિત્ર પ્રોફેસર બિમલ વ્યાસે બશીર બદ્રનો એક શેર યાદ કરાવ્યો કે -
कोई हाथ भी न मिलाएगा जो गले मिलोगे तपाक से,
ये नए मिजाज़ का शहर है ज़रा फ़ासले से मिला करो ।
જૂની સંસ્કૃત ઉક્તિ પણ છે કે, આત્મન છિદ્રમ ના પ્રકાશયતે. આનો મોડર્ન વિચાર વિસ્તાર કરવો હોય તો એમ કરાય કે માણસોના મોઢારૂપી છિદ્રમાંથી વાતો લિક થતી હોય, સોશિયલ મીડિયાના જમાનામાં પાક્કા ભાઈબંધ કે પ્રેમી/પ્રેમિકા સાથે દિલ ખોલીને વાતો કરવી હોય ત્યાં ય સ્ક્રીનશોટ વાયરલ થવાની શંકા લાગે તો તરત જ રેડ એલર્ટ સમજીને અંતર કરી લેવું. આપણી ગુજરાતી ભાષાના કવિ શૂન્ય પાલનપુરી તો વર્ષો પહેલા એક શેર લખી ગયેલા કે--
પાત્ર વગરની પ્રીત નકામી,
શૂન્ય ના ટકે રેતમાં ચણતર!
ખૈર, હમણાં જ એક વોટ્સએપમાં આવેલું વનલાઇર વાંચીને મજા આવી ગઈ કે - ક્યારેય કોઈના માટે ઇઝીલી અવેલેબલ બનશો નહિ. બાકી તમારૂ કોઈ મહત્વ રહેશે નહીં. (જો કે આપણે આ અમૂલ્ય સલાહમાંથી અમુક અંગત દોસ્તોને અપવાદ રાખવા જોઈએ જ, ફરજીયાત!)
- ડૉ. ભગીરથ જોગિયા