
સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામે ગૌચર જમીનો પર ખનિજ માફિયાઓએ કબજો જમાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામમાં આવેલી 3 હજારથી વધુ વીઘા ગૌચર જમીન પર ખનિજ માફિયાઓએ અવૈધ રીતે કબજો કરી, ભડાકા કરીને પથ્થરોનું ખોદકામ શરૂ કર્યું છે.
ખનિજ માફિયાઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે અને તેમણે તાત્કાલિક ખનિજ ચોરી રોકવાની તેમજ ગૌચર જમીનોને મુક્ત કરવાની માંગ ઉઠાવી છે. આ મુદ્દે ગ્રામજનો પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી દોડી ગયા હતા. તેમનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં હવે ગૌચર અને સરકારી જમીનો પણ સુરક્ષિત રહી નથી.