
વિદેશમાં વસતાં નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) દ્વારા ભારત મોકલવામાં આવતું રેમિટન્સ રૅકોર્ડ સ્તરે વધ્યું છે. ગત નાણાકીય વર્ષમાં ભારતમાં 135.46 અબજ ડૉલર (રૂ. 11.60 લાખ કરોડ)નું રેમિટન્સ મોકલવામાં આવ્યું છે. જે એનઆરઆઇ દ્વારા ભારત મોકલવામાં આવતાં નાણા પ્રવાહની અત્યારસુધીની રૅકોર્ડ ટોચ છે. છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે ભારતમાં રેમિટન્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
આરબીઆઇ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બેલેન્સ ઑફ પેમેન્ટ્સના આંકડાઓ અનુસાર, એનઆરઆઇ દ્વારા મોકલવામાં આવતું રેમિટન્સનું પ્રમાણ ગતવર્ષે 14 ટકા વધ્યું છે. જે એક દાયકામાં 2016-17માં 61 અબજ ડૉલરની તુલનાએ લગભગ બમણાથી વધ્યું છે.
રેમિટન્સનો હિસ્સો 10 ટકા
આરબીઆઇના આંકડાઓ અનુસાર, 31 માર્ચના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કુલ ચાલુ ખાતામાં રોકાણ પ્રવાહ કુલ 1 લાખ કરોડ ડૉલર નોંધાયો હતો. જેમાં રેમિટન્સનો હિસ્સો 10 ટકા રહ્યો હતો.
છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલું રેમિટન્સ
વર્ષ રેમિટન્સ
2020-21 80.18
2021-22 89.13
2022-23 112.47
2023-24 118.71
2024-25 135.46
વેપાર ખાધ ઘટાડવા રેમિટન્સ મહત્ત્વનું
આરબીઆઇના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે, ભારતમાં મળતું રેમિટન્સ સામાન્ય રીતે ભારતના એફડીઆઇ રોકાણ કરતાં વધુ રહ્યું છે. રેમિટન્સ એ બાહ્ય ફંડિંગ રૂપે સ્થિર સ્રોત રહ્યું છે. આ રેમિટન્સ ભારતની વેપાર ખાધમાં ઘટાડો કરવા મદદરૂપ બને છે. દેશની કુલ વેપાર ખાધ 287 અબજ ડૉલરનો 47 ટકા હિસ્સો રેમિટન્સમાંથી મળ્યો હતો.
રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અવ્વલ
વર્લ્ડ બૅન્કના આંકડાઓ અનુસાર, વૈશ્વિક સ્તરે 2024માં રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અગ્રણી રહ્યું છે. મેક્સિકો 68 અબજ ડૉલર સાથે બીજા ક્રમે અને ચીન 48 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. જે દર્શાવે છે કે, ભારતનો મોટાભાગનો કુશળ કામદાર વર્ગ અમેરિકા, યુકે, અને સિંગાપોર જેવા વિકસિત દેશોમાં સ્થાયી થઈ રહ્યો છે.