
ગુજરાત વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું છે. અધ્યક્ષ શંકર ચૌધરીનું કલાકાર વિક્રમ ઠાકોરને ના બોલાવતા વિરોધ થયો છે. ગેનીબેન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ના બોલાવવામાં આવતા ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે.
ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું હતું. ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરતા કહ્યું, "ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઇ છે. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરૂં છું."
https://twitter.com/GenibenThakor/status/1900568590354731335
શું છે ઘટના?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'