
ચોમાસાની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં શહેરીજનો ને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ થોડા દિવસ પહેલા સુરતના કલેક્ટર સૌરભ પારધીને પત્ર લખી ધ્યાન દોર્યું હતું. જે પત્રમાં લખ્યું હતું કે, જો સુરત શહેરમાં આ વખતે પૂર આવશે. તો તેનું મુખ્ય કારણ ખાડી પરના દબાણો અને ઝીંગા તળાવો છે. આ હકીકત પર વધુ પ્રકાશ પડતા ડુમસ અને કાંઠા વિસ્તારના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે કહ્યું કે, ખાડી અને દરિયામાં અતિક્રમણ કરીને બનાવવમાં આવેલા સેંકડો ઝીંગા તળાવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે.
શહેર બચાવો અભિયાન
આ ઝીંગા તળાવોના કારણે વરસાદના પાણીનો રસ્તો બ્લોક થઈ જાય છે અને ખાડીમાં પાણી બેક મારે છે . દરિયામાં પાણી ન જઈ શકવાના કારણે પૂર નું પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ હવે એક કાયમી સમસ્યા બની ચૂકી છે, તમામ સરકારી તંત્ર તેનાથી વાકેફ છે છતાં સમસ્યા નો અંત આવતો નથી,જેથી સ્થાનિક જનતામાં ભારે રોષ છે. જો તાત્કાલિક ધોરણે સરકારી તંત્ર આ ઝીંગા તળાવો દૂર નહિ કરે તો સ્થાનિક જનતા ને આંદોલન કરવાની ફરજ પડશે. એટલા માટે દીપક ઇજારદારએ ઝીંગા તળાવ હટાવો અને સુરત શહેર બચાઓ" અભિયાન નો આરંભ કરવાનો સંકલ્પ લીધો છે.
સમસ્યા વિકટ બનવાની વકી
આ વર્ષે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા આ બાબતે કામગીરી કરે તેવી અમારી મુખ્ય માંગ છે જો કામગીરી નહીં થાય તો ડુમ્મસ , સુલતાનાબાદ ,આભવા , ખજોદ , ઉભરાટ ભીમરાડ , ભીમપોર, સહિતના વિવિધ વિસ્તારના લોકો ઝીંગા તળાવ હટાવ અને સુરત શહેર બચાવો અભિયાન ને તેજ ગતિએ વધારવાની ફરજ પડશે. ડુમસ વિસ્તાર માં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ, આભવા, ઉભરાટ, ભીમરાડ, ગભેણી, બુડિયા, દીપલી વિગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે. જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ-મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે.