
ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પુલ તૂટી જવાને પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રૂટ બંધ કરવા અને વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે, તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો, તારાપુરથી વડોદરા જતા ભારે વાહનો માટે સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટ ડાયવર્ટ કરાયો છે. તદ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું. જ્યારે ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
જ્યારે પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવા જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.