
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામડાઓના ખેડૂતોને નવી જમીન માપણીઓમાં વ્યાપક ભૂલોના આક્ષેપને લઈ કોંગ્રેસે આજે કલેકટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો. કચેરીમાં રહેલા ભાજપના બેનરોએ કોંગ્રેસ કાર્યકરોએ ફાડી નાખ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લીધે આખી કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.
સુરેન્દ્રનગર શહેરમાં વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના વિવિધ પ્રશ્ને આજે સોમવારે કલેકટર કચેરીએ ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. વિરોધ પ્રદર્શનને લીધે કચેરીમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ખેડૂતોને પાક નુકસાન વળતર ચૂકવવામાં નથી આવ્યું અને નવી જમીન માપણીઓમાં ઘણી ભૂલો હોવા છતાં અધિકારીઓ ખેડૂતોને જવાબ નથી આપી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. જેથી પાક નુકસાન વળતર ન મળતા રોષ ફેલાયો હતો. આ ઉપરાંત વઢવાણ પાટડી, લખતર, લીંબડી સહિતના ખેડૂતોને નથી નુકસાન સહાય ન મળ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.