ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ. ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૧૦ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ બસમાં અંદાજિત ૪૦ મુસાફરો સવાર હતા.
10 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ખસેડ્યા
અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા.
ટેન્કરમાંથી ખાદ્યતેલ ઢોળાતા લોકોમાં લેવા માટે પડાપડી
અકસ્માતને કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.