
ગુરુપૂર્ણિમાને દિવસે સમસ્ત ભારત વર્ષ પોતાના ગુરુનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે, ગુરુ ઋણ અદા કરવા પુરુષાર્થ કરે એ હિંદુ પ્રણાલિકા છે. ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્કિંચિત્ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ તે ઋણમાંથી કદી મુક્તિ થતી જ નથી. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર ''ઋણ સ્વીકાર'' અને ''ઋણ સ્મરણ'' જ થઈ શકે. આવા ''ઋણ સ્વીકાર'' અને ''ઋણ સ્મરણ''નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે - ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દ્રષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, આસક્તિના ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે. તેથી જીવનમાં ગુરુ કરવા આવશ્યક છે. આપણા ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અનહદ કૃપા છે, તેથી તેઓની આપણને ઓળખાણ થઈ અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા જેવા ગુરુ મળ્યા છે અને સાધુતાની મૂર્તિ એવા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા મૂર્તિનો સાક્ષાત્કાર કરનાર સાચા સંત મળ્યા છે. તો આપણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેમનું પૂજન, અર્ચન, અને વંદન કરીએ અને તેમણે ચીંધેલ માર્ગે આપણું તન, મન અને ધન સમર્પિત કરીએ અને ગુરુના ચરણમાં મસ્તક મૂકી દ્રઢ નિશ્ચય કરીએ કે,
તન મન ધન તુજ ચરણે ધરશું,
જીવશું તો તમ કાજ જીવશું.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ