
શું તમે જાણો છો, દુનિયાભરમાં લાખો લોકો તેમના દરેક શ્વાસ સાથે સંઘર્ષ કરે છે? હા, આજે એ દિવસ છે જ્યારે આપણે તેમનો અવાજ બનીએ છીએ - વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day). જે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે ઉજવવામાં આવતો આ દિવસ માત્ર એક તારીખ નથી પણ એક ખાસ પ્રસંગ છે, જે આપણને અસ્થમાની સમસ્યાથી પીડાતા લોકોના પડકારો અને આશાઓ સાથે જોડે છે. આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) આજે એટલે કે 6 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો આપણે તેના ઈતિહાસ, મહત્ત્વ અને આ વર્ષની ખાસ થીમ વિશે જાણીએ.
અસ્થમા શું છે?
અસ્થમા એક ક્રોનિક એટલે કે લાંબા ગાળાનો રોગ છે, જે વ્યક્તિના શ્વસન માર્ગને અસર કરે છે. આમાં, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ વગેરે સમસ્યાઓ થાય છે. ધૂળ, ધુમાડો, હવામાનમાં ફેરફાર કે તણાવને કારણે આ સમસ્યા વધે છે.
વિશ્વ અસ્થમા દિવસનો ઈતિહાસ
વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ની શરૂઆત 1998માં ગ્લોબલ ઈનિશિયેટિવ ફોર અસ્થમા (GINA) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. તેનું સૌપ્રથમ આયોજન સ્પેનના બાર્સેલોનામાં કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 35 દેશોએ ભાગ લીધો હતો. ત્યારથી, દર વર્ષે GINA આ દિવસને વિવિધ પાસાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે એક ખાસ થીમ સાથે ઉજવે છે.
વિશ્વ અસ્થમા દિવસનું મહત્ત્વ
વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને અસ્થમા વિશે, આ રોગ શા માટે થાય છે, તેના લક્ષણો શું છે, તેની સારવાર કેવી રીતે કરી શકાય અને આ સમસ્યા થવાથી કેવી રીતે અટકાવી શકાય તે વિશે જણાવે છે. આજે પણ લોકોના મનમાં અસ્થમા વિશે ઘણી ગેરમાન્યતાઓ છે, તેથી આ દિવસ તે ગેરમાન્યતાઓને દૂર કરવા અને સાચી માહિતી પ્રદાન કરવાની તક આપે છે.
આ દિવસ અસ્થમાથી પીડાતા લોકો, તેમના પરિવારો અને તેમની સંભાળ રાખનારાઓ માટે પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે તેઓ અનુભવે છે કે તેઓ એકલા નથી, અને દરેક વ્યક્તિ તેમને ટેકો આપવા માટે ભેગા થાય છે.
એટલું જ નહીં, આ દિવસ સરકારો અને આરોગ્ય સંબંધિત સંસ્થાઓને પણ યાદ અપાવે છે કે તેઓએ સારી યોજનાઓ બનાવવી જોઈએ અને અસ્થમાને રોકવા અને સારવાર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. આ દિવસ એ વાત પર પણ ભાર મૂકે છે કે અસ્થમા પર વધુ રિસર્ચ થવું જોઈએ અને તેના માટે નવી સારવાર શોધવી જોઈએ.
વિશ્વ અસ્થમા દિવસ 2025ની થીમ
આ વર્ષે, 2025 માટે વિશ્વ અસ્થમા દિવસની થીમ "Make Inhaled Treatments Accessible for ALL" છે. આનો અર્થ એ છે કે શ્વસન દવાઓ બધા લોકો માટે સરળતાથી સુલભ હોવી જોઈએ. દવાઓ, ખાસ કરીને જે ઈન્હેલર દ્વારા લેવામાં આવે છે અને જેમાં સ્ટેરોઇડ્સ હોય છે, તે અસ્થમાને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આ થીમનો ઉદ્દેશ્ય અસ્થમાથી થતા રોગો અને મૃત્યુ ઘટાડવાનો છે. આ સાથે, આ દવાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવા પર વધુ ભાર મૂકવો જોઈએ.
વિચારસરણી બદલવાની પણ જરૂર છે
અસ્થમાના દર્દીઓને માત્ર શારીરિક સહાયની જ જરૂર નથી, પરંતુ તેમને માનસિક સપોર્ટની પણ જરૂર છે. સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને દૂર કરવની જરૂર છે. વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) આપણને યાદ અપાવે છે કે અસ્થમા એ કોઈ અસાધ્ય રોગ નથી. થોડી સાવધાની, સાચી માહિતી અને જીવનશૈલીમાં ફેરફારથી તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.