
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગ ફરી જોર પકડી રહી છે અને આ ઘટના હવે દિલ્હી દરબારમાં પહોંચી ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જ તેના સંકેત આપ્યા હતા. આ વચ્ચે દિલ્હીથી પ્રતિનિધિ તરીકે આવેલા રણદીપ સુરજેવાલાએ કર્ણાટકના કેટલાક ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે.
સોનિયા અને રાહુલ ગાંધી ઇચ્છે છે કે ધારાસભ્યો શાંત થાય અને આ ઝઘડો જાહેરમાં ન આવે.ડીકે શિવકુમારના સમર્થકો હવે કરો યા મરોના મૂડમાં જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.આ ચૂંટણી પછી, એવી ચર્ચા હતી કે ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે પરંતુ સિદ્ધારમૈયાને તક આપવામાં આવી હતી.
કોઈએ ખુલ્લેઆમ કંઈ કહ્યું ન હતું પરંતુ ત્યારથી ડીકે શિવકુમારના સમર્થકો વારંવાર કહી રહ્યા છે કે સિદ્ધારમૈયાને ફક્ત અઢી વર્ષ માટે જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ કારણે તેઓ હવે પરિવર્તનની માંગ કરી રહ્યા છે.ડીકે શિવકુમારના નજીકના ધારાસભ્ય ઇકબાલ હુસૈને એક મોટો દાવો કર્યો છે. હુસૈન કહે છે કે લગભગ 100 કોંગ્રેસના ધારાસભ્યો ડીકે શિવકુમાર સાથે છે અને આ બધા લોકો હવે તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. ધારાસભ્યએ ચેતવણી આપી હતી કે જો શિવકુમારને સત્તા નહીં આપવામાં આવે તો કોંગ્રેસ 2028માં ફરી સત્તામાં નહીં આવી શકે.
શિવકુમારની નજીકના ગણાતા એક સાથીએ કહ્યું કે હું દિલ્હીથી આવેલા રણદીપ સુરજેવાલા સાથે પણ આ અંગે વાત કરીશ. તેમણે કહ્યું કે જો હવે પરિવર્તન નહીં થાય તો ઘણું મોડું થઈ જશે. પાર્ટીના હિતમાં છે કે શિવકુમારને હવે સત્તા સોંપવામાં આવે.
અંદર સળગી રહી છે આગ પણ સિદ્ધારમૈયાનો બધું સામાન્ય બતાવવાનો પ્રયાસ
કર્ણાટકમાં ડીકે શિવકુમારને ટેકો આપતા ધારાસભ્યો એક્ટિવ છે, પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બધું સામાન્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયાના સવાલો પર ડીકે શિવકુમારે કહ્યું કે સિદ્ધારમૈયા સાથે કોઈ મતભેદ નથી. સુરજેવાલાએ એમ પણ કહ્યું કે હું સંગઠનને મજબૂત બનાવવા માટેની બેઠકમાં આવ્યો છું.નેતૃત્ત્વ પરિવર્તનની કોઈપણ પ્રકારની ચર્ચા સાથે જોડવું જોઈએ નહીં.