
ગુજરાત ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપમાં કામને ન્યાય નથી મળતો- મહેશ વસાવા
આદિવાસી નેતા તરીકે જાણીતા રાજીનામું આપતાં મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપમાં કામને ન્યાય નથી મળતો. ઉલ્લેખનીય છે કે 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. જોકે હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો કરી લીધો છે. તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
એક વર્ષ જ ભાજપમાં ટક્યા મહેશ વસાવા
મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. આ ઘટના ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે બની હતી, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. મહેશ વસાવાએ હવે ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. મહેશ વસાવાનો ભાજપ સાથેનો સંબંધ લાંબો ટક્યો નથી.
મહેશ વસાવાના રાજીનામા પર ભાજપનું નિવેદન
મહેશ વસાવા દ્વારા ભાજપ સાથે છેડો ફાડવા મામલે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે આદિવાસી નેતા મહેશ વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. મહેશ વસાવા સવા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. હજુ સુધી પક્ષને કોઇ સત્તાવાર રીતે રાજીનામું મળ્યું નથી. પક્ષના મોવડી મંડળ સાથે પણ મહેશ વસાવાએ કોઇ વાતચીત કરી નથી.