
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુરૂવારે (19મી જૂન) વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
189 લોકોનું રેસ્ક્યું અને 1060 લોકોનું સ્થળાંતર
ભારે વરસાદના પગલે ભાવનગરમાંથી 89, અમરેલીમાંથી 69, બોટાદમાંથી 24, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ ભાવનગરથી 729, સુરેન્દ્રનગરથી 117, બોટાદથી 117 અને અમરેલીથી 80ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
દ.ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 20 ટકા વરસાદ નોંધાયો
ગુરૂવારે ગુજરાતના 96 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 35 તાલુકામાં વરસાદ 1 ઈંચથી વધુ હતો. આજે જ્યાં નોંધપાત્ર વરસાદ પડ્યો તેમાં વલસાડના પારડી-કપરાડા-ધરમપુર-ઉમરગામ, નવસારીના ખેરગામ, ભરૂચનાં હાંસોટ, સુરતના ઓલપાડ, ડાંગના વઘઈનો સમાવેશ થાય છે. 19મી જૂને વલસાડના વાપીમાં 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 20 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
NDRF, SDRFની કુલ 33 ટીમ તહેનાત
ભારે વરસાદને પગલે NDRFની 13, SDRFની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. 19મી જૂનના બપોરની સ્થિતિએ સુરેન્દ્રનગરના 3, આણંદના 1 એમ ચાર સ્ટેટ હાઈવે, જ્યારે ભાવનગરના 1 નેશનલ હાઇવે સહિત 196 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેમાં ભાવનગરના સૌથી વધુ 60, વલસાડના 49 રસ્તાઓ બંધ છે.
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બાગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.