
IPL 2025 સિઝનનો એક મહત્ત્વપૂર્ણ મેચ 3 મેના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ વચ્ચે રમાશે. RCBની ટીમ, જેના માટે આ સિઝન અત્યાર સુધી ઘણી સારી રહી છે, તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાની ખૂબ નજીક છે, જ્યારે CSKની ટીમ પહેલાથી જ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. RCBની ટીમ CSK સામેની મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચવા પર નજર રાખશે. જોકે, વરસાદને કારણે આ મેચ વિક્ષેપિત થઈ શકે છે.
બેંગલુરુમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે
છેલ્લા 2થી 3 દિવસથી બેંગલુરુમાં હવામાન ખરાબ છે, જે દરમિયાન ત્યાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જો આ મેચની વાત કરીએ તો તેમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, મેચ દરમિયાન 3 મેના રોજ સાંજે 9 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, જો આ પછી વરસાદ બંધ થાય છે, તો મેચમાં ઓવરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ચિન્નાસ્વામી ખાતે ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે, તેથી જો વરસાદ બંધ થાય, તો ફેન્સને ઓછામાં ઓછી 5-5 ઓવર મેચ જોવા મળી શકે છે. આ પહેલા પણ, જ્યારે 18 એપ્રિલે બેંગલુરુના મેદાન પર RCB અને PBKS વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે પણ વરસાદને કારણે મેચ 14-14 ઓવરની કરવામાં આવી હતી.
RCBની નજર પ્લેઓફમાં સ્થાન મેળવવા પર
IPL 2025 સિઝનમાં, RCB ટીમ નવા કેપ્ટન રજત પાટીદારની કેપ્ટનશિપમાં રમી રહી છે, જેમાં તે અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી ફક્ત 3 મેચ હારી છે. છેલ્લી ત્રણ મેચોમાં, RCB ટીમ સતત મેચ જીતવામાં સફળ રહી છે. આ સિઝનમાં RCB જે ત્રણ મેચ હાર્યું છે, તે તેના હોમ ગ્રાઉન્ડ પર હર્યું છે. બીજી તરફ, RCB પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરવા અને લીગ સ્ટેજ સમાપ્ત થાય ત્યારે ટોપ-2માં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે CSK સામે જીત મેળવવા પર નજર રાખશે.