- પ્રભાતના પુષ્પો
ભગવાન મહાવીરની વાણી ઠાણાંગ સુત્ર 'આગમ'માં ચાર પ્રકારના પુષ્પોનું વર્ણન કરવામાં આવ્યું છે - એક પુષ્પ એવું હોય છે કે જેમાં રૂપ-સૌંદર્ય તો હોય છે, પરંતુ સુગંધ નથી હોતી. બીજા પ્રકારના ફુલ-પુષ્પમાં સુગંધ-સુરભિ તો હોય છે, પરંતુ તેમાં સૌંદર્ય નથી હોતું. ત્રીજા પ્રકારના પુષ્પમાં અદ્ભુત રૂપ-સૌંદર્ય હોય છે અને સુગંધ પણ હોય છે. ચોથા પ્રકારના ફુલ-પુષ્પમાં સૌંદર્ય કે સુગંધ કશું નથી હોતું. દાખલા તરીકે કેસુડાનાં ફૂલ. તેનું સૌંદર્ય તો ખુબ જ આકર્ષક હોય છે, પરંતુ તેમાં સુગંધ હોતી જ નથી. બકુલ પુષ્પની વાત કરીએ તો તે માદક સુગંધનો ભંડાર છે. પોતાની સુરભિથી તે દૂર-દૂર રહેલા ભ્રમરોને પણ આકર્ષિત કરી શકે છે અને તેનાથી દૂર રહેલા મનુષ્યને પણ મુગ્ધ કરી શકે છે, પરંતુ જેવા આપણે તે ફૂલની નજીક પહોંચીએ એને જોઇએ તો એ ફૂલમાં રૂપ-સૌંદર્યનો બિલકુલ અભાવ દેખાતાં આપણી મુગ્ધતા વિસરાળ થઇ જાય છે. જસ્મીનના પુષ્પમાં રૂપ-સૌદર્ય બન્ને છે. ગુલાબના ફૂલમાં અદ્ભુત રૂપ હોય છે, જોવાવાળાના ચિત્તને આકર્ષિત કરે છે અને સાથે સાથે તે સુગંધનો ભંડાર પણ છે. ચોથા પ્રકારના પુષ્પ આક છે, જેને આપણે અંકોડા ફૂલરૂપે ઓળખીએ છીએ જે મદાર પુષ્પરૂપે પણ જાણીતું છે. આ ફૂલોમાં ન તો કોઇ રૂપ-સૌંદર્ય છે કે ન તો કોઇ સુગંધ આવા ફૂલો કોઇને ગમતા નથી.

