
દિલ્હીના બહુચર્ચિત શરાબ સ્કેમ બાદ આપ સરકારનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) એવી ફસાઈ હતી કે તેને દિલ્હીની ખુરશી ગુમાવવી પડી. દારૂ કૌભાંડ કેસમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓને તિહારની જેલમાં જવું પડ્યું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા અને શક્તિશાળી નેતા સત્યેન્દ્ર જૈનને પણ જેલની સજા ભોગવવી પડી. બધા નેતાઓ જામીન પર મુક્ત થયા છે પરંતુ દિલ્હીથી વધુ એક મળતા સમાચાર મુજબ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના વધુ એક કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર દરમિયાન શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપોસર ACB એ કડક કાર્યવાહી કરી છે. ACB એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ જાહેર બાંધકામ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. દિલ્હીમાં નવી સરકારી શાળાઓ તૈયાર કરવા ૧૨,૭૪૮ વર્ગખંડો અને ઇમારતોના બાંધકામમાં રૂ. ૨,૦૦૦ કરોડના કથિત કૌભાંડ સંબંધિત કેસ છે.
https://twitter.com/AHindinews/status/1917463685360148896
ACB તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
ક્લાસરૂમોને અર્ધપાકા- કાયમી સ્ટ્રક્ચર તરીકે બનાવવામાં આવ્યા હતા, જેની લાઈફ 30 વર્ષ છે, પરંતુ ખર્ચ RCC (પાકા) વર્ગખંડો જેટલો જ હતો, જેનું જીવનકાળ 75 વર્ષ છે.
આ કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગના AAP સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
કામ સમયસર પૂર્ણ થતા ખર્ચમાં ભારે વધારો જોવા મળ્યો.
કોઈપણ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના સલાહકારો અને આર્કિટેક્ટ્સની નિમણૂક કરતા ખર્ચ વધ્યો.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી, પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી રાખી હતી.
ખર્ચમાં ફરિયાદો અને અનિયમિતતાઓ
સ્કૂલ રૂમ બાંધવા માટેના ખર્ચ બાબતે થયેલા કૌભાંડની ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ કરી છે. રિપોર્ટ મુજબ એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ 5 લાખ રૂપિયા હોવો જોઈએ, પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. સીવીસીના અહેવાલ મુજબ, એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૨૨૯૨ સુધી પહોંચ્યો, જે પાક્કા શાળાના મકાનોના ખર્ચ (રૂ. ૨૦૪૪-૨૪૧૬ પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે.