
ગુજરાત ટાઈટન્સે IPL 2025ની 19મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ મેચમાં ગુજરાતની બોલિંગથી લઈને બેટિંગ સુધી બધું જ અદ્ભુત હતું. ગુજરાતે આ મેચ 7 વિકેટથી જીતી હતી. હવે મેચ જીત્યા પછી, BCCI એ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સામે કડક કાર્યવાહી કરી અને તેને સજા પણ આપી.
BCCI એ ઈશાંત શર્માને શા માટે સજા આપી?
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઈશાંત શર્માની બોલિંગ ખાસ નહતી રહી. ઈશાંત શર્મા મેચનો સૌથી મોંઘો બોલર સાબિત થયો કારણ કે તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને તેને કોઈ વિકેટ પણ નહતી મળી. આ મેચમાં, ઈશાંતને IPL આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે BCCI એ ફાસ્ટ બોલરને સજા પણ આપી છે. જોકે એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઈશાંતે શું ઉલ્લંઘન કર્યું છે?
IPL દ્વારા જારી કરાયેલ એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈશાંત શર્માને IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. જેના કારણે ઈશાંત પર તેની મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈશાંતે પણ આ ગુનો સ્વીકારી લીધો છે. આ ઉપરાંત, ફાસ્ટ બોલરના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ઈશાંત શર્માએ ICC આચાર સંહિતાના કલમ 2.2 હેઠળ લેવલ 1ના ગુનાનો સ્વીકાર કર્યો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી.
ઈશાંતનું ખરાબ ફોર્મ ચાલુ છે
18મી સિઝનમાં ઈશાંત શર્માનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ નથી રહ્યું. દરેક મેચમાં તેની ઓવરમાં રન બની રહ્યા છે. ઈશાંતને પહેલી મેચમાં રમવાની નહતી તક મળી. આ પછી, મુંબઈ ઈન્ડિયન્સ સામેની બીજી મેચમાં, ઈશાંતે 2 ઓવરમાં 17 રન આપ્યા. RCB સામેની ત્રીજી મેચમાં, ઈશાંતે 2 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. અત્યાર સુધી ઇશાંતે 3 મેચ રમી છે અને તેને ફક્ત 1 વિકેટ મળી છે.