
વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી સંભવિત નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ બાબતે કોઈ કમેન્ટ કરવાનો ઈનકાર કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ધોનીની નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા ફ્લેમિંગે કહ્યું, "અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનું મારું કામ નથી. મારી પાસે કોઈ માહિતી નથી. મને હજુ પણ તેની સાથે કામ કરવાની મજા આવે છે. તે હજુ પણ મજબૂત છે. હું આજકાલ પૂછતો પણ નથી. તમે જ પૂછો છો."
ચેપોકમાં મેચ જોવા પહોંચ્યા હતા ધોનીના માતા-પિતા
ધોનીના માતા-પિતા ચેપોકમાં પહેલી વાર IPL મેચ જોવા પહોંચ્યા હતા, ત્યારબાદ IPLમાંથી તેની નિવૃત્તિ અંગે અટકળો ચરમસીમાએ પહોંચી ગઈ હતી કે આ દિગ્ગજ ક્રિકેટર ટૂંક સમયમાં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ફેન્સ IPL સિઝન હવે તે રમશે કે નહીં તેના કોઈ સંકેતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ધોનીના તાજેતરના બેટિંગ પ્રદર્શનની ઘણી ટીકા થઈ છે, ખાસ કરીને ગઈકાલે દિલ્હી કેપિટલ્સ સામે 184 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે જ્યારે તે ક્રીઝ પર આવ્યો હતો ત્યારે ટીમને નવ ઓવરમાં 110 રનની જરૂર હતી. જોકે, વિજય શંકર સાથેની તેની પાર્ટનરશિપ 56 બોલમાં ફક્ત 84 રનની હતી. શંકરે 54 બોલમાં 69 રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે ધોનીએ 26 બોલમાં 115.38ની સ્ટ્રાઇક રેટથી માત્ર 30 રન બનાવ્યા હતા, જેની ભારે ટીકા થઈ હતી.
ફેન્સ ધોનીના જૂના ફોર્મમાં આવવાની આશા રાખતા હતા, પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ન ઉતર્યો, ખાસ કરીને શંકરના 127.78ની સ્ટ્રાઇક રેટની સરખામણીમાં. CSKના અન્ય ખેલાડીના પ્રદર્શને પણ ચિંતા વધારી છે. CSK હાલમાં પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે અને તેની પહેલી ચાર મેચમાંથી માત્ર એક જીત છે. જો હારનો સિલસિલો ચાલુ રહેશે, તો પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેની આશા જોખમમાં મુકાઈ શકે છે.
ચેન્નાઈની આગામી મેચ
પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમનો આગામી મુકાબલો 8 એપ્રિલે ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામે, ત્યારબાદ 11 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઘરઆંગણે અને 14 એપ્રિલે લખનૌ સામે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ સામે તેનો બહુપ્રતિક્ષિત મુકાબલો 20 એપ્રિલે ઘરઆંગણે રમાશે.