
IPL 2025માં પહેલીવાર, એવો સમય આવી ગયો છે જ્યારે તે બે ખેલાડીઓ એકબીજાની સામે જોવા મળશે, જેમના પર 53.75 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રિષભ પંત અને શ્રેયસ અય્યર વિશે. આ બંને ફક્ત IPL 2025ના જ સૌથી મોંઘા ખેલાડીઓ નથી, પરંતુ આ લીગના ઈતિહાસમાં પણ સૌથી મોંઘા ખેલાડીઓ છે. રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL 2025માં પહેલીવાર 2 સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે ટક્કર
1 એપ્રિલના રોજ, IPL 2025ની 13મી મેચમાં, પંજાબ કિંગ્સની સામે લખનૌ સુપર જાયન્ટ્સ ટકરાશે. આ મેચમાં IPLના ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે મુકાબલો જોવા મળશે, જેઓ પોતપોતાની ટીમોના કેપ્ટન પણ છે. રિષભ પંતની કેપ્ટનશિપ હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સની આ ત્રીજી મેચ હશે. જ્યારે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની પંજાબ કિંગ્સ આ સિઝનની પોતાની બીજી મેચ રમશે.
પહેલી બે મેચમાં પંતનું પ્રદર્શન સારું નથી રહ્યું
લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, તેને IPL 2025ની પોતાની પહેલી મેચમાં 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં 27 કરોડ રૂપિયામાં વેચાયેલો રિષભ પંત પોતાનું ખાતું પણ નહતો ખોલાવી શક્યો. પરંતુ પોતાની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, આ મેચમાં પણ કેપ્ટન રિષભ પંતનું પ્રદર્શન સારું નહતું. આ મેચમાં પંતે 100ની સ્ટ્રાઇક રેટથી માત્ર 15 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યર શાનદાર શરૂઆત કરી
પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેણે IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તે મેચ હાઈ સ્કોરિંગ હતી. બંને ટીમો તરફથી રનનો વરસાદ થયો. પરંતુ અંતે પંજાબ કિંગ્સ 11 રનથી જીતી ગયું. આ મેચમાં, 26.75 કરોડ રૂપિયામાં વેચાયેલા અને IPLના ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી શ્રેયસ અય્યરે 97 રનની અણનમ અને તોફાની ઈનિંગ રમી હતી. તેણે આ રન ફક્ત 42 બોલમાં બનાવ્યા હતા.
કોણ મારશે બાજી?
IPL 2025માં પહેલીવાર બે સૌથી મોંઘા ખેલાડીઓ ટકરાશે, પરંતુ અત્યાર સુધીના બંનેના પ્રદર્શનમાં શ્રેયસ અય્યરનું ફોર્મ રિષભ પંતના ફોર્મ કરતાં વધારે સારું રહ્યું છે. જોકે, ક્રિકેટમાં દરેક દિવસ નવો હોય છે, તેથી આજે તે જોવાનું રસપ્રદ હશે કે આ મેચમાં કોણ બાજી મારે છે.