
પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન અત્યાર સુધી સારી નથી રહી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળ, ચેન્નાઈએ પહેલી 3 મેચમાંથી 2 મેચ હારી છે. પહેલી મેચ જીત્યા બાદ ટીમને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ટીમ માટે કોઈપણ કિંમતે વાપસી કરવી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આગામી મેચ પહેલા ટીમની કેપ્ટનશિપમાં ફેરફાર થઈ શકે છે. આગામી મેચ માટે એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. આવું થઈ શકે છે પણ તેનું કારણ ટીમની હાર નથી પણ કેપ્ટન રુતુરાજ ગાયકવાડની ઈજા છે.
17 મેચ પછી ફરી બનશે કેપ્ટન?
ગયા વર્ષે ચેન્નાઈની કેપ્ટનશિપ છોડી દેનાર એમએસ ધોની 17 મેચ પછી ફરીથી ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો આજે (5 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાશે. બપોરે યોજાનારી આ મેચ પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ તેના નિયમિત કેપ્ટન રુતુરાજ ગાયકવાડની ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહી છે. જોકે, એવું માનવામાં આવે છે કે ગાયકવાડ માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે.
ચેન્નાઈના બેટિંગ કોચ માઈકલ હસીએ મેચના એક દિવસ પહેલા આ વાતનો સંકેત આપ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ઋતુરાજ ગાયકવાડની ઈજા અંગે અપડેટ આપતાં હસીએ કહ્યું કે તેનું રમવું તે ઈજામાંથી કેટલી ઝડપથી અને સારી રીતે સ્વસ્થ થાય છે તેના પર નિર્ભર રહેશે. હસીએ કહ્યું, "ગાયકવાડની કોણીમાં હજુ પણ સોજો છે અને તે શુક્રવારે સાંજે પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે." ધોનીનું સીધું નામ લેવાને બદલે, હસીએ મજાકમાં સંકેત આપ્યો કે ગાયકવાડની ગેરહાજરીમાં, એક યુવાન વિકેટકીપર ટીમની કમાન સાંભળી શકે છે.
ગઈ સિઝનમાં છોડી હતી કેપ્ટનશિપ
ચેન્નઈને પાંચ IPL ખિતાબ અપાવનાર એમએસ ધોનીએ છેલ્લે લગભગ 2 વર્ષ પહેલા ટીમની કેપ્ટનશિપ કરી હતી. લીગના સૌથી સફળ કેપ્ટન ધોનીએ છેલ્લે IPL 2023ની ફાઈનલમાં ટીમની કેપ્ટનસી કરી હતી અને ટાઈટલ જીત્યા પછી, તેણે આગામી સિઝનમાં આ જવાબદારી છોડી દીધી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી. જોકે, તેની કેપ્ટનશિપ હેઠળ ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટીમ ગઈ સિઝનમાં પ્લેઓફમાં પહોંચી નહતી શકી, જ્યારે આ સિઝનમાં ચેન્નાઈએ 3 માંથી 2 મેચ હારી છે. રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં તુષાર દેશપાંડેનો એક બોલ તેની કોણીમાં વાગતાં ઋતુરાજ ઈજાગ્રસ્ત થયો હતો.