
- લેન્ડસ્કેપ
મશીનો સ્વયં કોઈ માગણી કરતા નથી અને કોઈ વચનો પણ નિભાવતા નથી; પણ હા, માનવીય જુસ્સો તો માગણીઓ કરે છે અને વચનો પણ પાળે છે. મશીનોને ફરી જીતવા માટે અને માનવીય પ્રક્રિયામાં ફરી જોતરવા માટે તેને નવેસરથી સમજવા પડશે અને પ્રયોજવા પડશે.
- લૂઈ મમફોર્ડ
માણસ અને મશીનની લડાઈ તેના છેલ્લા તબક્કામાં પ્રવેશી ગઈ છે. એમ લાગે છે કે માણસ હારશે. તેમ છતાં કેટલાક અવાજો છે જેમને સાંભળીને આપણને થાય છે કે નહીં હજુ એ માણસનું ડહાપણ જીતશે. આવો જ એક શ્રધ્ધેય અવાજ છે; રેમન્ડ તાન્ગ. તે માને છે કે તકનોલોજી અને તત્વજ્ઞાાન ક્યાંક મળે છે. દરેક મહાન તકનોલોજી માણસના બાહ્ય જગત અને અંતરંગ જીવનને જોડે છે તેને ચીનના લાઓત્ઝેના તાઓવાદી ચિંતનને પશ્ચિમની અદભુત તકનોલોજી સાથે સમન્વય કરવો છે.
એક વખત આ આઈ.ટી મેનેજર રેમન્ડ તાન્ગને કોઈએ પૂછયું. 'કારકિર્દીમાં સફળતા માટેનો માર્ગ કઈ રીતે પસંદ કરવો?' તો તેઓ બોલ્યા 'સ્વયંને પૂછોને., કે તમે જળ હો તો તમે શું કરો?' અને પછી તેઓ તાઓવાદી દર્શનને આધુનિક પ્રશ્નોના સમાધાન તરીકે આમ રજૂઆત કરે છે. તે કહે છે 'જળના મારગમાં જ્યારે અવરોધ રૂપે ખડક આવે છે ત્યારે તે તેની આજુબાજુથી વહી જાય છે. તે નથી વિચલિત થતું કે નથી ક્રોધિત થતું. તે બળ કે સંઘર્ષ વિના તેનો મારગ કરી લે છે. આમ તે અડચણની નોંધ જ નથી લેતું.'
કદાચ, દરેક માણસે તેની જીવન-યાત્રા દરમિયાન તેની આસપાસના જગત અને જીવનને ખલેલ ન પડે તેમ યાત્રા કરવાની હોય છે. તેને સતત સ્વયં ને પૂછતા રહેવાનું છે કે; આ શબ્દ, વિચાર કે આચાર થકી હું કોઈને ઈજા તો નથી કરતો ને? દરેક સાથે મારો સ્વરમેળ અને સુરમેળ માધુર્ય અને સૌંદર્યપૂર્ણ તો છે ને? મારો સંવાદ સહયોગ અને સાયુજ્ય સૌ સાથે તો છે ને? બસ આટલું જ!'
આપણાં ઉપનિષદોનું ઋત અને તાઓનું તથાતા સગોત્રી છે. બંને કહે છે 'તો ભલે તેમ હજો.!' જીવનનું સત્વ એટલું જ છે : આવકાર અઢળકનો, સ્વીકાર સમગ્રનો. આખરે તો વહેણ જ મૂલ્યવાન છેત વાયુનું, પળનું જળનું અને જીવનનું. જીવન સૂત્ર તો એક જ છે, વહેણને સમર્પિત થવાનું છે. રક્ત અંદરનું અને જળ બહારનું વહેણ તો છે. જીવનનું નૃત્ય આ વહેણમાં છે. આપણો જીવનઅર્થ આ નૃત્યમાં જોડાઈ જવામાં છે. બરડ થશે તે બટકી જશે, તરલ થશે તો તરી જશે.
માર્શલ આર્ટમાં દંતકથા બની ગયેલ બ્રુસ લી ની નોંધપોથી તેની દિકરી શેન્નોન લી એ સંપાદિત કરી છે. તે પુસ્તકનું નામ છેત બી વોટર માઈ ફ્રેન્ડ. તેમાં બ્રુસ લી એક અફલાતૂન જીવન-કેડી સૂચવે છે,
'તમારું મન ખાલી કરો. જળની જેમ રૂપહીન અને આકારહીન બનો. જળ વિખેરાઈ શકે છે-વહી શકે છે.. જળ બનો, મારા મિત્રો...'