
- શોધ સંશોધન
- બૂલેટ ટ્રેનમાં તમે અમદાવાદથી મુંબઈ 2 કલાક 7 મિનિટમાં પહોંચી જશો. ટિકિટનો ભાવ 3000 રૂપિયાની આસપાસ હશે.
બુલેટ ટ્રેન માટે લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે. વીસનગર ખાતે જાપાનીઝ પ્રજા બુલેટ ટ્રેનના નક્શા તૈયાર કરી રહી છે. ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભાગી શકે એવી બુલેટ ટ્રેનના ટ્રેક જમીનથી ૧૫-૧૬ મીટર ઊંચાઈએ હશે.
આટલી ઊંચાઈએ પવનનો વેગ પણ લાગશે. વળી, દક્ષિણ ગુજરાતના ચોમાસા અને ચક્રવાત કે વાવાઝોડા સામે બુલેટ ટ્રેન કેવી રીતે ચાલશે? એ પ્રશ્ન લોકોને મુંઝવી રહ્યો છે. એટલે જ ૮૦ જેટલા જાપાનીઝ ઇજનેરો દિવસ રાત બધી ગણતરી કરી સફર સલામત રહે એ માટે ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે ૫૦૮ કિ.મી.નું અંતર કાપતા બુલેટ ટ્રેન એ તોફાની પવનો અને ઉનાળામાં વધતા તાપમાનનો સામનો કરવો પડશે. ટ્રેન જ્યારે ૨૫૦-૩૦૦ની સ્પીડે પાટા પર ગરમીમાં દોડે ત્યારે પાટા અથવા ટ્રેકનું તાપમાન ૫૦થી ૬૫ ડિગ્રી થઈ જશે. તાપમાન સામે સેફટી રૂપે દર ૧૦૦ કિલોમીટરે સેન્સર લગાડવામાં આવશે જે ટ્રેકના તાપમાન નોંધીને તાપમાન ૬૫ ડિગ્રી સુધી પહોંચતા ટ્રેનને અટકાવી દેશે.
બુલેટ ટ્રેનને હવાનો અવરોધ પણ લાગશે જેને માટે ગુજરાતની આઠ નદીઓ ઉપર હવાની સ્પીડ માપનારા મીટર લગાડવામાં આવશે. હવાની સ્પીડ ૩૦ કિ.મી.થી વધશે તો કન્ટ્રોલ રૂમ (સાબરમતી)માં ઘંટડી વાગશે અને ટ્રેનને ઊભી રાખવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૮૦થી ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. ટ્રેન તો ૧૫ મીટરની ઊંચાઈએ હશે એટલે પાણી ભરાવાનો પ્રશ્ન નથી છતાં ટ્રેન તો ટનલમાં પણ દાખલ થઈને દોડશે એટલે પાણીનું લેવલ ચકાસવું પડશે. આ માટે ટનલના બન્ને છેડે ૬ જગ્યાએ સેન્સર લગાડવામાં આવશે.
અમદાવાદથી મુંબઈ હવે તમે ૨ કલાક ૭ મિનિટમાં પહોંચશો. એક ટ્રેન ૪ સ્ટેશન કરશે જ્યારે ૨ જી ૯ સ્ટેશનો કરશે. દિવસમાં ૩૫ ટ્રિપ એક તરફ અને ૩૫ ટ્રિપ બીજી તરફ કરતાં તમને ૧૫-૨૦ મિનિટે મુંબઈ સુધીની ટ્રિપ મળશે.
આ ટ્રેન ૭ કિ.મી.નો પ્રવાસ દરિયાની નીચે બનાવવામાં આવેલી ટનલમાં કરશે. ૨૦૨૩ માં જે ટ્રેન આપણને મળવાની હતી તે ટ્રેનનું આગમન કોવિડને કારણે અને મહારાષ્ટ્રની જમીન સંશાધનની લંબાયેલી પ્રક્રિયાને કારણે મોડું થયું છે. ભારતીય રેલવેને વિશ્વાસ છે કે ૨૦૨૬ ના જૂન-જુલાઈમાં આ ટ્રેન ચાલુ થશે.
બુલેટ ટ્રેનને કારણે નવી નોકરી ઊભી થશે. ટુરિઝમ વધશે અને વેપારની તકો પણ વધશે.મુંબઈનો માલ સવારે આંગડિયાને ઓર્ડર કરો ને સાંજે તમારે ત્યાં આવી જશે.
૨૦૨૬માં પ્રથમ આ ટ્રેન ગુજરાતમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે. અમદાવાદ-મુંબઈનો સ્ટ્રેચ ૨૦૨૮માં શરૂ થશે.
સાબરમતીથી ઉપડેલી ટ્રેનનું અંતિમ સ્ટેશન બાન્દ્રા કોમ્પ્લેક્સ હશે. બુલેટ ટ્રેનના બધા જ ડબ્બા, એન્જિન ઇમ્પોર્ટેડ હશે. ગાદીવાળી તેની લક્ઝુરીયસ સીટ સામે નાસ્તા-પાણી તેમજ ઓફિસ વર્ક માટે ફોલ્ડિંગ ટેબલ હશે. રાત્રે સ્ક્રીન પર પસાર થતાં સ્ટેશન અને સ્પીડ પણ જોઈ શકાશે.
ઘણા વાંચકો અમદાવાદ-મુંબઈની ટિકિટ પ્રાઈસ વિશે ઉત્સુક હશે. ટિકિટ એરફેરથી ઓછી અને ફર્સ્ટક્લાસથી દોઢી હોઈ શકે છે. જે ફિગર ૩૦૦૦ રૂપિયાની આસપાસ હશે. અહીં વધારાના લગેજનો ચાર્જ નથી અને બે કલાક વહેલા રિપોર્ટીંગની જરૂર નથી!