
આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો તહેવાર આનંદપૂર્ણ ઉજવાયો હતો,. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રાની નીકળી હતી. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.
રથયાત્રામાં અમદાવાદ પોલીસતંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી
આ સાથે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટપૂર્વકનું ધ્યાન રખાયું હતું. જગન્નાથ ભગવાન નગરચર્યા કર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. આ દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે નિજ મંદિરે લાખો ભક્તોએ ઉમટ્યાં હતા. આમ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે.
ખાડિયામાં 3 હાથી બેકાબુ બન્યા હતા
ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું હતું. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન ઊભું થયું હતું. જેમાં રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબુ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતાં આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબુ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેવામાં પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી મચી ન હતી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો.
હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લ્હાવો
ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો ભક્તો પ્રસાદનો લ્હાવો લીધો હતો. ભક્તોએ શાક, પુરી અને મોહનથાળનો પ્રસાદ આરોગ્યો હતો. આખુંય અમદાવાદ હાલ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન છે. ભગવાનના રથ નિદ મંદિરે પહોંચતા દર્શનાર્થીઓએ ઉત્સાહભેર ભગવાનનું સ્વાગત કર્યુ હતું. નગરચર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા ત્યારે લાખો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.