Home / India : Charged Rs 805 for using toilet for 6 minutes, this bill went viral due to Khatu Shyam

6 મિનિટ ટોયલેટ યુઝ કરવાના 805 રૂપિયા વસૂલ્યા, ખાટુ શ્યામથી આ બિલ થયું વાયરલ

6 મિનિટ ટોયલેટ યુઝ કરવાના 805 રૂપિયા વસૂલ્યા, ખાટુ શ્યામથી આ બિલ થયું વાયરલ
ભારતીય સંસ્કૃતિ દયા અને કરુણાનું ઉદાહરણ છે, પરંતુ રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર નજીક બનેલી ઘટનાએ માનવતા પર મોટો સવાલ ઉભો કર્યો છે. એક બીમાર વૃદ્ધ મહિલાને ઈમરજન્સીમાં થોડી મિનિટો માટે ટોયલેટની જરૂર હતી, ત્યારે મદદના બદલે તેમની પાસેથી 805 રૂપિયા વસૂલવામાં આવ્યા.
 
પરિવારના એક સદસ્યએ આ સમગ્ર ઘટના અને બિલની તસવીરો LinkedIn પર પોસ્ટ કરી અને લખ્યું - હું આજે પણ વિચારું છું... કોઈ દુખાવાથી તડપતી મહિલાને જોઈને પણ કેવી રીતે કોઈ પૈસા માગી શકે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે, જેને વાંચીને યુઝર્સમાં ગુસ્સાની લાગણી ફેલાઈ છે.
 
મહિલાએ LinkedIn પર જણાવી સમગ્ર ઘટના
આ પોસ્ટ મેઘા ઉપાધ્યાયે તાજેતરમાં LinkedIn પર શેર કરી હતી. તેણે લખ્યું - 805 રૂપિયા માત્ર ટોયલેટ માટે! શું માનવતા બચી છે? મેં 805 રૂપિયા ચૂકવ્યા... ફક્ત ટોયલેટ વાપરવા માટે. હા, તમે સાચું વાંચ્યું... ગઈકાલે હું મારા પરિવાર સાથે રાજસ્થાનના ખાટુ શ્યામજી ગઈ હતી. મારી માતાની લાંબા સમયથી ઈચ્છા હતી કે તેઓ એકવાર મંદિરમાં દર્શન કરે. સવારે 6 વાગે અમે હોટેલમાંથી નીકળ્યા અને 7 વાગે દર્શનની લાઈનમાં ઉભા રહ્યા. બે કલાક સુધી લાઈનમાં રહ્યા, કોઈ ફરિયાદ વિના. અમે સામાન્ય દર્શનનો રસ્તો પસંદ કર્યો, કારણ કે મમ્મી હંમેશા કહે છે, "ભગવાનના દરવાજે VIP શું? બધા સમાન છે."
 
પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું જેણે દિલ હચમચાવી દીધું. લાઈનમાં ઉભા રહેતા મમ્મીની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ. પેટમાં તીવ્ર દુખાવો અને ઉલટી જેવું લાગવા માંડ્યું. પપ્પા આસપાસ ટોયલેટ શોધવા લાગ્યા, જ્યારે અમે મમ્મીને સંભાળી રહ્યા હતા. પરંતુ એક કિલોમીટરના વિસ્તારમાં કોઈ યોગ્ય ટોયલેટ નહોતું. કેટલાક જાહેર સ્નાનગૃહો હતા, પરંતુ તેમની હાલત બિલકુલ યોગ્ય ન હતી. મમ્મી દુખાવાથી તડપી રહ્યા હતા, માંડ ઉભા રહી શકતા હતા.
 
અમે નજીકની એક હોટેલમાં દોડી ગયા અને રિસેપ્શન પર વિનંતી કરી - અમને રૂમ નથી જોઈતો, ફક્ત 5-10 મિનિટ માટે ટોયલેટ વાપરવું છે. આ ઈમરજન્સી છે, મહેરબાની કરીને મદદ કરો. રિસેપ્શનિસ્ટે મમ્મીની હાલત જોઈ... અને કહ્યું, ટોયલેટ વાપરવા માટે 800 રૂપિયા ચૂકવવા પડશે. અમે બધા આઘાતમાં આવી ગયા. ન તો કોઈ સહાનુભૂતિ. ન તો કોઈ ખચકાટ. અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે અમારી હોટેલ અહીંથી 7 કિલોમીટર દૂર છે. ખૂબ ઇમરજન્સી છે. આ માનવતા અને સન્માનનો સવાલ છે. પરંતુ તે ટસના મસ ન થયા.  આ દરમિયાન મમ્મી હવે ઉભા પણ રહી શકતા ન હતા. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમારે પૈસા આપવા પડ્યા.
જ્યારે પપ્પાએ બિલ માગ્યું, તો રિસેપ્શનિસ્ટ બૂમો પાડવા લાગ્યો. પહેલા બોલ્યો, 'બિલ છોડો, 100 રૂપિયા ઓછા આપી દો.' પરંતુ પપ્પાના આગ્રહ પર, આખરે 805 રૂપિયાનું બિલ આપ્યું. માત્ર... છ મિનિટ ટોયલેટ વાપરવા માટે. હું આ બધું સહાનુભૂતિ મેળવવા માટે નથી લખતી. હું આ લખું છું કારણ કે આજે પણ વિચારીને સમજાતું નથી... કેવી રીતે કોઈ દુખાવાથી તડપતી મહિલાને જોઈને પણ માનવતાની કિંમત વસૂલી શકે? આપણે આખરે શું બની રહ્યા છીએ?
 
આ બધું કોઈ અજાણી જગ્યાએ નહીં, પરંતુ એક આધ્યાત્મિક સ્થળના દરવાજે બન્યું. જ્યાં આપણે શાંતિ, દયા અને આસ્થાની શોધમાં જઈએ છીએ. પરંતુ ગઈકાલે જે જોયું, તે દિલ તોડી નાખે તેવું હતું.
દુઃખ પૈસા આપવાનું ન હતું. દુઃખ એ વાતનું હતું કે કોઈએ સામે થઈ રહેલી તકલીફ જોઈ... અને સૌથી પહેલા પૈસા માગ્યા. એમણે તો એમ પણ કહ્યું - 'પહેલા પેમેન્ટ કરી દો.' શું આપણે ખરેખર માનવ તરીકે આગળ વધી રહ્યા છીએ? 
 
લોકોએ આ મામલે શું કહ્યું?
આ પોસ્ટ હવે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર થઈ રહી છે, જેને LinkedIn પર 3,000થી વધુ લાઈક્સ, અનેક રીપોસ્ટ અને સેંકડો યુઝર્સની પ્રતિક્રિયાઓ મળી છે. એક યુઝરે મેઘાને ભારતીય સરાય અધિનિયમ, 1867 (Indian Sarais Act, 1867) વિશે જણાવ્યું, જે કહે છે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ટોયલેટનો મફતમાં ઉપયોગ કરી શકે છે. જ્યારે એક યુઝરે સવાલ ઉઠાવ્યો - મેઘા, તમે મીડિયા સાથે જોડાયેલા છો અને લોકશાહીના ચોથા સ્તંભનો હિસ્સો છો, તો તમે બંધારણનો સહારો કેમ ન લીધો?
 
બીજા એક યુઝરે કોમેન્ટ કરી - પ્રાકૃતિક જરૂરિયાત (nature's call) અને ઉબકા, ઉલટી જેવી સમસ્યા અલગ હોય છે. શક્ય છે કે હોટેલવાળાએ એટલા માટે ચાર્જ કર્યો હોય કે ટોયલેટને ફરીથી સફાઈની દૃષ્ટિએ તૈયાર કરવું પડે. જો તેમણે રૂમનું ટોયલેટ વાપરવા દીધું હશે, તો પણ. આ યુઝરે સલાહ આપી કે તે હોટેલ સામે યોગ્ય કેસ ફાઈલ કરો. અને ફરિયાદ નોંધાવતી વખતે તમારી વ્યક્તિગત વિગતો (જેટલું શક્ય હોય તેટલું) છુપાવી રાખો. વળી, તેમણે આપેલું બિલ પણ ખોટું છે.
 
નોંધનીય છે કે સરાય અધિનિયમ, 1867 બ્રિટિશ રાજ દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ભારતભરની સરાયો અને વિશ્રામ સ્થળોમાં ફેલાયેલી અવ્યવસ્થા અને ખરાબ સ્થિતિને સુધારવાનો હતો. ભલે આ કાયદો હવે જૂનો થઈ ગયો હોય, પરંતુ આજે પણ તેના હેઠળ કોઈ પણ વ્યક્તિને હોટેલમાં ટોયલેટ વાપરવાનો અને પાણી માગવાનો અધિકાર મળે છે.
Related News

Icon