
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂદ્ધ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. જીજ્ઞોશ શાહે વર્ષ 2012થી 2022ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ 3.07 કરોડની અપ્રમાણસર મિલકતોમાં રોકાણ કર્યું હતું. એસીબીએ ફોરેન્સિક એકાઉન્ટિંગની મદદથી કરેલી તપાસમાં વિવિધ રોકાણો અંગે માહિતી મળી હતી, જેમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે એસીબીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મકાન, જમીન અને સોનામાં રોકાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની અરજી લાંચ રિશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં એસીબીએ એપ્રિલ 2012થી માર્ચ 2022 દરમિયાન જીજ્ઞોશ શાહની આવક અને ખર્ચ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીજ્ઞોશ શાહે તેના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે મકાન, જમીન અને સોનામાં રોકાણ કર્યું હતું.
3.07 કરોડની મિલકત
તેમણે કુલ આવક આશરે રૂપિયા 3.07 કરોડની મિલકતો વસાવી હતી. જે તેમની કુલ આવક કરતા 102 ટકા વધુ હતી. આ ફાઇનલ રિપોર્ટના આધારે એસીબીએ ગુરૂવારે એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞોશ શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એએમસીમાં ચાલતા કૌભાંડ અંગે વિગતો સામે આવે તેવી શક્યતા પણ એસીબીના અધિકારીઓએ વ્યક્ત કરી છે.