
GPSC પરિક્ષામાં થયેલા અન્યાય મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી છે. SC-ST અને OBC સમુદાયના વિધાર્થીના અન્યાય મુદ્દે બેઠક મળી હતી. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતા વચ્ચે બેઠક થઈ હતી. લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી સહિતના ધારાસભ્ય હાજર રહ્યા હતા. તેમજ પ્રો.હેમંત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. વિદ્યાથીઓના ભવિષ્ય લઇને આગામી રણનીતિ અંગે બેઠકમાં મંથન થશે. કોંગ્રેસ GPSC પરિક્ષા લઇને વિધાર્થી હિતમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે.
બેઠકમાં વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં સુઆયોજિત ષડયંત કરવામાં આવ્યું છે. લેખિતમાં સારા ગુણ લાવનારા વિધાર્થીઓને ઇન્ટરવ્યુમાં પાડી દેવામાં આવ્યા છે. નાગપુરથી આ પ્રકારનું કાવતરું શીખવામાં આવ્યું. SC, ST અને OBCના વિધાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરે તો શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.
RTEના કાયદાનો પણ ગુજરાતમાં યોગ્ય અમલ થઈ રહ્યો નથી. અમુક સમાજના લોકોમો ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આપવામાં આવે છે. 1 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે લોકોને ભેગા થવા એલાન કરવામાં આવ્યું છે. GPSCની ઓફિસને તાળાબંધી સુધીની તૈયારી દર્શાવવામાં આવી છે.
લાલજી દેસાઈએ જણાવ્યું કે, ભાજપના શાસકોએ બંધારણને ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગરીબો અને વંચિતોને શિક્ષણથી દૂર રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ST, SC અને OBC માટે નહીં પણ EWS માટે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ડિમોલેશનથી લઈને સરકાર દ્વારા તમામ વસ્તુમાં અમુક સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. GPSCના ચેરમેન નહીં પણ સમગ્ર પદ્ધતિ બદલાવા કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાતભરમાં જિલ્લા અને તાલુકા કક્ષા પર વિરોધ કાર્યકમ કરવામાં આવશે.