
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે આખરી દિન હોવાથી મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ચાર લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી. આ પરથી વાઇબ્રન્ટ-વિકસીત ગુજરાતમાં બેરોજગારીની અસલિયત ખુલ્લી પડી હતી.
2389 તલાટીની જગ્યા માટે 4 લાખથી વધુ ફોર્મ ભરાયા
ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદ્દઢ બનાવવાના ભાગરૂપે સરકારે રહી રહીને તલાટીની ભરતી શરૂ કરી છે. છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26મી મેથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે. તારીખ 10મી જૂનની મોડી રાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતાં ઉમેદવારોએ રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભર્યા હતા.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોર સુધીમાં તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઇ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી સુદ્ધાં ભરી દીધી છે. તલાટી માટે કૂલ ફોર્મ કેટલાં ભરાયાં તે બુધવાર મોડી સાંજ સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાયાં છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં છે.ખાનગી-કરાર આધારિત નોકરીઓમાં થતાં શોષણને લીધે શિક્ષિત યુવાઓ માટે સરકારી નોકરી એક સપનું બની રહ્યું છે.
MBA ડીગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવા ફોર્મ ભર્યું
આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને MBA ડીગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છેકે, પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવી હતી. જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને બે-ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પંચાયતોનો વહીવટ બગડતાં આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યુ છે. તલાટી માટે સાડા ચાર લાખથી વધુ અરજીઓ આવતાં ગુજરાતમાં રોજગારીની કેવી સ્થિતી છે તેની વાસ્તવિકતા ઉજાગર થઇ છે. ગુજરાતમાં યુવાઓને રોજગાર મળી રહે છે તેવા સરકારના દાવાનો પરપોટો ફુટ્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થતાં તલાટી બનવું પણ અઘરૂ બન્યું
જાણકારોનું કહેવુ છે કે, તલાટીની પરીક્ષા હવે GPSCની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમિનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધોરણ 12 હતી. હવે ગ્રેજ્યુએટ યુવા જ તલાટીનું ફોર્મ ભરી શકે છે. ગત વખતે એક પરીક્ષા હતી જ્યારે આ વખતે પ્રિલિમિનરી સાથે કૂલ ચારેક પરીક્ષા આપવી ફરજિયાત છે. આ બધાય પરીક્ષા નિયમોને લીધે કેટલાંય શિક્ષિતોએ તલાટીની પરીક્ષા આપવાનું ટાળ્યુ છે. ગત વખતે તો તલાટી માટે છ લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં.