
ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બધાને હચમચાવી દીધા. ઉડાન ભરી રહેલું વિમાન સીધું હોસ્પિટલની હોસ્ટેલના મકાન સાથે અથડાયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે ત્યારે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 લોકોમાંથી 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચમત્કારિક રીતે બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી.
મારી સામે બધું જ ખતમ થઈ ગયું ?
એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર બધા લોકો બળીને કોલસો થઈ ગયા છે ત્યારે આ વ્યક્તિ જાતે ચાલીને કાટમાળમાંથી બહાર આવી એમ્બ્યુલન્સ સુધી પહોંચે છે. આ વ્યક્તિને પણ ઈજાઓ થઈ છે. જેની સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી. હોસ્પિટલના પલંગ પર સૂતા વિશ્વાસ કુમારે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. એકદમ સન્નાટો, અને ઓચિંતા જ લીલી અને સફેદ લાઈટ ચાલુ થઈ ગઈ. જાણે કે ટેકઓફ માટે પ્લેનનું તમામ જોર લગાવી દેવામાં આવ્યું હોય. પણ એવું તે શું થયું કે પ્લેન સીધું હોસ્ટેલના મકાનમાં ઘૂસી ગયું.
હું જે બાજુ બેઠો હતો તે નીચેનો ભાગ હતો
વિશ્વાસ કુમારે કહ્યું કે, મારી સીટ વિમાનના જે ભાગે હતી તે બિલ્ડિંગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગતા ત્યાં લોકો ફસાઈ ગયા પરંતુ કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ એટલે મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ દિવાલ હતી ત્યાંથી કદાચ કોઈ નીકળી નહીં શક્યું હોય. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની નજર સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો. તે બહાર નીકળતાની સાથે જ આગ ફેલાઈ હતી. જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...હું પણ કોલસો થઈ ગયો હોત.
યુકેના લેસ્ટરના રહેવાસી રમેશ વિશ્વાસ અને અજય બે ભાઈઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા. અજય વિશે હાલમાં કંઈ જાણી શકાયું નથી. તેમના ભાઈએ કહ્યું કે, તેમને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. ફક્ત એટલું જ કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે.