
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેથી આની સીધી અસર ઉનાળુ શાકભાજીમાં જોવા મળી રહી છે. જેમ જેમ ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેમ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શિયાળામાં ઠંડી સિઝનમાં જે શાકભાજી સસ્તામાં મળતા હતા. તે અને અન્ય શાકભાજીમાં એપ્રિલના શરૂઆતના ગાળામાં બેવડો વધારો થતા ગ્રાહકો સહિત ગૃહિણીના બજેટ ખોરવાય તેવી નોબત આવી છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે અમદાવાદની શાકમાર્કેટમાં શાકભાજીની આવક ૧૫ થી ૨૦ ટકા ઘટી ગઈ છે. જેના લીધે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. લીંબુના ભાવમાં વધારો થયો છે. રિટેલ બઝારમાં 200 રૂપિયા કિલોના લીંબુ 240થી 260 રૂપિયા થયા છે. લીંબુની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો થયો છે. અમદાવાદ એપીએમસીમાં લીંબુની આવક 100થી 150 ક્વિન્ટલનો ઘટાડો થયો છે.
રવૈયાના ભાવમાં 10થી 50 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય કોબીજમાં 3થી9 ટકાનો વધારો થયો છે. ફ્લાવરની એપીએમસીમાં આવક 8થી 14. થઈ ગઈ હોવાથી તેમાં રૂપિયા 8 થી 22 નો વધારો થયો છે. કોથમીરની આવકમાં 10થી 20 ટકાનો ભારે ઘટાડો થતા તેની કિંમતમાં પણ રૂપિયા 12થી 25નો તોતિંગ વધારો ઝીંકાયો છે.