
સરકારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. બેન્કે ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આનાથી ગ્રાહકોના ખિસ્સા પર અસર પડી શકે છે. એવામાં ક્રેડિટ કાર્ડ યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે. આ ફેરફારો 15 જુલાઈ, 2025થી કરવામાં આવશે. જેમાં દર મહીને બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂ (MAD)ને લઈને ગાઈડલાઈન તેમજ કોમ્પ્લિમેન્ટરી ઇન્શ્યોરન્સ કવરને લઈને નિયમો બદલાશે.
મિનિમમ અમાઉન્ટ ડ્યૂ (MAD) શું છે?
મિનિમમ અમાઉન્ટ ડ્યૂ એ ન્યૂનતમ રકમ છે જે તમારે દર મહિનાની બિલિંગ તારીખ સુધીમાં ચૂકવવાની હોય છે. આનો અર્થ એ નથી કે તમને ડિફોલ્ટર ગણવામાં આવે છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ બગડતી નથી.
SBI કાર્ડ દ્વારા વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 15 જુલાઈ, 2025થી અમલમાં આવનારો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂ સાથે સંબંધિત છે. ફેરફારની વાત કરીએ તો, હવે SBI તરફથી કુલ બાકી બિલ રકમના 2% સાથે GST રકમના 100%, EMI બેલેન્સ, ફી, ફાઇનાન્સ ચાર્જ, ઓવરલિમિટ રકમ (જો કોઈ હોય તો) પણ MAD માં શામેલ કરવામાં આવશે એટલે કે યુઝર માટે મિનિમમ અમાઉન્ટ ડ્યૂમાં વધારો થવાનો છે.
મિનિમમ અમાઉન્ટ ડ્યૂ કેટલી છે?
ક્રેડિટ કાર્ડની મિનિમમ અમાઉન્ટ ડ્યૂનો અર્થ એ છે કે દર મહિને તમારા બાકી બિલનો તે ભાગ હોય છે, જે તમારે ચૂકવવો પડે છે જેથી લેટ પેમેન્ટ ચાર્જ ટાળી શકાય. તે 2 થી 5% સુધીની હોય છે. જો કે, આ ફક્ત એક સુવિધા છે જેના દ્વારા ક્રેડિટ કાર્ડ યુઝર ડિફોલ્ટ ટાળી શકે છે, પરંતુ તે ચૂકવ્યા પછી પણ બાકી ચુકવણી પર વ્યાજ વસૂલવામાં આવે છે અને તેથી MAD ચુકવણીને બદલે સમગ્ર બાકી બિલ ચૂકવવું વધુ નફાકારક છે.
એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર હવે બંધ કરવામાં આવશે
SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત બીજા ફેરફારમાં ક્રેડિટ કાર્ડ યુઝરની તમામ કેટેગરીને અસર કરશે. SBI કાર્ડ એલીટ, SBI કાર્ડ માઈલ્સ એલીટ અને SBI કાર્ડ માઈલ્સ પ્રાઇમ યુઝર માટે પહેલા જે ફ્રી એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવતું એ હવે ઉપલબ્ધ નહીં રહે.
અગાઉ SBI કાર્ડધારકોને 1 કરોડ રૂપિયા સુધીનું મફત એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવતું હતું. જે હવે બંધ થવા જઈ રહ્યું છે. આ સુવિધા અન્ય SBI કાર્ડ્સ પર પણ ઉપલબ્ધ છે, જેમ કે SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ પર આ એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર 50 લાખ રૂપિયા સુધીનું છે અને તે પણ બંધ થઈ જશે.