
ગુજરાતના અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લામાં અખાદ્ય પદાર્થો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં અખાદ્ય પદાર્થો સહિતના મુદ્દે 349 એકમને નોટિસ ફટકારવામાં આવી છે અને વિવિધ એકમો પાસેથી રૂ.2.35 લાખથી વધુનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.
અખાદ્ય પદાર્થો મામલે AMCએ રૂ. 2.35 લાખનો દંડ વસુલ્યો
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AMCના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગે 916 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. જેમાંથી અખાદ્ય પદાર્થો મામલે વિવિધ એકમો પાસેથી રૂ. 2.35 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ 600 કિલોગ્રામથી વધુનો અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે 193 સ્થળે તેલની ગુણવતા ચેક કરવા માટે આરોગ્ય વિભાગે TPC ટેસ્ટ કર્યા હતા.
ખોખરા-દાણીલીમડામાંથી 37 ડુપ્લીકેટ કપાસિયા તેલના ડબ્બા ઝડપાયા
જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના બાતમીના આધારે ખોખરા અને દાણીલીમડામાં તપાસ આદરી હતી. જેમાં ખોખરામાં કોહિનુર સ્ટોરમાંથી 26 ડુપ્લીકેટ કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા હતા. જેમાં પોલીસે રૂ.61000 કિંમતનો જથ્થો જપ્ત કરીને ફારૂક સલીમભાઈ ઉર્ફે રાજુભાઈ સૈયદ સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ દાણીલીમડામાં તવક્કલ ટ્રેડર્સ દુકાનમાંથી 25 કિંમતના 11 ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવતા સુલતાન સૈયદ નામના વેપારી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ શુક્રવારે (25 એપ્રિલ, 2025) શહેરના કર્ણાવતી ક્લબની સામે આવેલી દુકાનો અને કોમર્શિયલ શેડના એકમોમાં ચાલતી ધંધાકીય પ્રવૃત્તિથી ત્યાં આવતા લોકો પાર્કિંગ જાહેર રસ્તા પર કરતાં હોવાથી અવર-જવર કરનારા લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે.જેને લઈને AMC દ્વારા 12 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.