
અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીની માનવ ઉપર હુમલાની ઘટના છાસવારે સામે આવી રહેલ છે.જેમાં વધુ એક આવીજ શંકાસ્પદ ઘટના સામે આવેલ છે જેમાં લાઠી તાલુકાના લુવારીયા ગામ નજીક વન્ય પ્રાણીએ હુમલો કરતા યુવક અરદીપભાઈ જસકુભાઇ ખુમાણ ઉ.૨૨ વર્ષીય યુવક નું મોત થયા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યાં પીએમ કર્યા બાદ મૃતકની અંતિમ વિધિ વહેલી સવારે કરી દેવામાં આવી હતી.
યુવાન પર વન્ય જીવે કર્યો હુમલો
લાઠી તાલુકાના લુવારિયા ગામે સરપંચ જસકુભાઈ ખુમાણનો પુત્ર અરદીપ સ્કૂલ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થવા સાથે મોતને ભેટયો હતો. જો કે આ બનાવ અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાનું લોકજીભે ચર્ચાઈ રહ્યું છે. અમરેલી Dy Sp ચિરાગ દેસાઈ ના જણાવ્યા મુજબ ચાર જેટલા યુવાનો નિશાળ પાછળ ગેમ રમતા હતા.
સિંહોનો મોટો વસવાટ
તે દરમિયાન અરદીપભાઇ જસકુભાઇ ખુમાણ બાથરૂમ કરવા નિશાળ પાછળ ગયેલ તે દરમિયાન તે પાછા નો આવતા સાથે રહેલ બે યુવાનો એ તપાસ કરતા કોઈ વન્ય જીવ દ્વારા શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજા કરી લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક અમરેલી હોસ્પિટલમા લઈ ગયા હતા તેમનુ મોત નીપજ્યું હતું પરીવાર ના કહેવા પ્રમાણે સિહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લાઠી પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પીએમ રિપોર્ટમા મલ્ટીપલ ઈન્જરી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લુવારીયા ગામ પાસે સિંહોનો મોટો વસવાટ છે અને ગામની બાજુમાં જ જંગલ વિસ્તાર અને ગીચ ઝાડીઓ છે. અહીં વારંવાર સિંહો આવી ચડે છે.
અવાર નવાર થતા વન્ય પ્રાણીના હુમલાને લઈને સ્થાનિક વનવિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા વનવિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે અને વનવિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે પરંતુ આખી ઘટના અંગે વન વિભાગ અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે લોકોમાં અનેક તર્કવિતર્ક ઉઠયા હોવાનું જાણવા મળે છે.