
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાએ રવિવારે (29 જૂન, 2025) રોજ નિયંત્રણ રેખા (LoC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા ઉપરાંત એક પાકિસ્તાની ગાઇડની ધરપકડ કરવામાં આવી છે.
સેનાએ જણાવ્યું હતું કે, 'સૈનિકો દ્વારા નિર્ણાયક અને ઝડપી કાર્યવાહી બાદ એક મુખ્ય ગાઇડની ધરપકડ કરવામાં આવી હતી. જે 4થી 5 આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે નિષ્ફળ બનાવ્યો છે. ઘૂસણખોર આતંકવાદીઓને ઇજાઓ પણ પહોંચી હતી.'
4 આતંકવાદી ઘાયલ થયા
એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ' સેનાને બાતમી મળી હતી કે નિયંત્રણ રેખા પાર આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતા સેનાએ BSF સાથે મળીને એક ઓપરેશન હાથ ધર્યું. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 4-5 ભારે સશસ્ત્ર આતંકવાદીઓની પ્રવૃત્તિ પર નજર રાખી હતી.' આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ઘૂસણખોરીમાં મદદ કરનારા આતંકવાદીઓના ગાઈડની ધરપકડ કરાઈ હતી. જ્યારે ભાગવાના પ્રયાસ દરમિયાન 4 આતંકવાદી ઘાયલ થયા હતા.
મોબાઇલ અને પાકિસ્તાની ચલણ મળ્યું
અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની ગાઇડની ધરપકડ બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન મોબાઇલ ફોન અને પાકિસ્તાની ચલણ સહિત ઘણી સંવેદનશીલ વસ્તુઓ મળી આવી. શરૂઆતની પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે તે નિયંત્રણ રેખા નજીક પીઓકેનો રહેવાસી છે અને આગળની ચોકીઓ પર તૈનાત પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના નિર્દેશો પર કામ કરી રહ્યો હતો.
હથિયારો સાથે ઘૂસણખોરી કરવા માંગતા હતા
અધિકારીના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા ગાઇડની તપાસમાં જાણવા મળ્યું કે, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી સહિત અન્ય વાંધાજનક સામગ્રી ભારતમાં ઘૂસાડવા માગતા હતા. આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.